જામનગર શહેરમાં રૂ. ૬૦૦ કરોડના ખર્ચે મહત્વનો એવો રીવરફ્રન્ટ પ્રોજેકટ બની રહ્યો છે ત્યારે છેલ્લા બે દિવસથી આ યોજનાનો ઝડપી અમલીકરણ થાય તે માટે કોર્પોરેશનના વિવિધ ખાતાના અધિકારીઓ દ્વારા સતત બીજા દિવસે પણ કાર્યવાહી થઇ રહી છે, આજે બચુનગર વિસ્તારમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે, આગામી દિવસોમાં રીવરફ્રન્ટ યોજનામાં આવતા તમામ વિસ્તારોનું સર્વેક્ષણ થશે.
કોર્પોરેશનની પ્રોજેકટ પ્લાનીંગ શાખા, એસ્ટેટ શાખા, ટીપી-ડીપી અને ટીપીઓ શાખાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ જયાં રીવરફ્રન્ટ બનવાનો છે તે જગ્યાનું નિરીક્ષણ કર્યુ હતું અને આ જગ્યા ઉપર કેટલા અનઅધિકૃત બાંધકામો છે તેનો પણ સર્વે કરી રહી છે, સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવે તે પહેલા જ ડીમોલીશનની તમામ કામગીરી પુરી કરી લેવામાં આવે તેવી શકયતા છે, હજુ ગયા અઠવાડીયે જ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી અને એસપી પ્રેમસુખ ડેલુ વચ્ચે મંત્રણા થઇ હતી અને ઝડપથી રિવરફ્રન્ટ શરૂ થાય તે માટે ઓપરેશન ડીમોલીશન શરૂ કરવામાં આવશે.

નાયબ કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઇજનેર ભાવેશ જાની, એસ્ટેટ શાખાના મુકેશ વરણવા, નિતીન દીક્ષીત, સુનીલ ભાનુશાળી, ટીપીઓ શાખાના ઉર્મિલ દેસાઇ, અનિલ ભટ્ટ, પ્રોજેકટ પ્લાનીંગના રાજીવ જાની સહિતના અધિકારીઓ સતત નિરીક્ષણ કરી રહ્યા છે અને બચુનગરથી લાલપુર બાયપાસ ચોકડી સુધી સરકારી જમીન ઉપર કેટલા મકાનો ગેરકાયદેસર બંધાઇ ગયા છે તેનો પણ સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે.
રાજય સરકાર દ્વારા રીવરફ્રન્ટ માટે ખાસ પેકેજ આપવામાં આવશે તેવી વાત કરી હતી અને જામનગર મહાપાલીકાના પદાધિકારીઓ અને શહેર ભાજપ સંગઠન પાંખના પદાધિકારીઓ દ્વારા પણ યોગ્ય રજૂઆત કરવામાં આવી હતી જેના ભાગપે ટુંક સમયમાં સરકાર દ્વારા રીવરફ્રન્ટ માટેના નાણા રીલીઝ કરવામાં આવે તેવી શકયતા છે.
