ત્રણ પરિણીતાના ફાંસો ખાઇને આપઘાત

  • July 10, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં આપઘાતના બનાવ દિવસેને દિવસે વધી રહ્યા છે વધુ બે પરિણીતાએ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હોવાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. દૂધસાગર રોડ પર પરિણીતા અને મોરબી રોડ પર સેટેલાઈટ ચોક નજીક રહેતી નવોઢાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના દૂધસાગર રોડ પર રિદ્ધિ સિદ્ધિ હાઉસિંગ બોર્ડ શેરી નં-15માં રહેતી ફરજાનબેન રિઝવાનભાઈ કાદરી (ઉ.વ. 35)નામની પરણીતાએ ગત રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે રૂમમાં જઈ પંખાના હૂંકમાં ચૂંદડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને ખબર પડતા તાકીદે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલએ ખસેડાતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરી લેનાર ફરઝાનાબેનનું માવતર જંગલેશ્વર વિસ્તારમાં છે અને તેણીના લગ્ન થયાને 14 વર્ષ જેટલો સમય થયો છે, સંતાનમાં એક દીકરો છે. પતિ રિઝવાનભાઈ પ્રાઇવેટ કંપ્નીમાં ડ્રાઇવિંગ કામ કરે છે. પરિવારજનોના કહેવા મુજબ પુત્રી બીમાર પડતા જંગલેશ્વરમાં અમારા ઘરે આરામ કરવા માટે આવી હતી બાદમાં રવિવારે જમાઈ રિઝવાન તેને તેડી ગયા હતા. બંને વચ્ચે ઝગડો થતા આ વાતનું લાગી આવતા તેણીએ પગલું ભરી લીધું હતું. વધુ તપાસ થોરાળા પોલીસે હાથ ધરી છે.
બીજા બનાવમાં મોરબી રોડ પર સેટેલાઈટ ચોક નજીક આસ્થા વેન્ટિલા સોસાયટીમાં રહેતી ચાંદનીબેન જયદીપભાઇ વાજા (ઉ.વ.25) નામની નવોઢાએ ગત રાત્રીના ત્રણેક વાગ્યે ઘરે રૂમમાં પંખામાં ચૂંદડી બાંધી ફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો હતો. આપઘાત કરનાર નવોઢા ચાંદનીબેન બે ભાઈ ત્રણ બહેનમાં મોટા હતા. અને માવતર બારવડા ગામ છે. લગ્ન થયાને પાંચ મહિનાનો સમય થયો હતો. પતિ જયદીપભાઈ ખાનગી કંપ્નીમાં નોકરી કરે છે. રાત્રે પરિવારજનો સુતા હતા ત્યારે પગલું ભરી લીધું હતું. આપઘાત પાછળના કારણથી પરિવારજનો અજાણ હોઈ બી ડિવિઝન પોલીસે તપાસ યથાવત રાખી છે.

ત્રીજા બનાવમાં રેસકોર્ષ સામેના જવાહર રોડ પર ઓપેરા ટાવર નામના બિલ્ડિગના કેમ્પસમાં રહી ત્યાં જ કામ કરતી નિશાબેન લોકેશભાઈ સોની (ઉ.વ. 25) નામની પરિણીતાએ આજે સવારે રૂમમાં પંખા સાથે દુપટો બાંધી લટકી ગઈ હતી. સવારે દિયર કામ પરથી ઘરે આવી રૂમમાં ભાભીને લટકતી હાલતમાં જોઈ બુમાબુમ કરી મૂકી હતી ત્યાં રહેતા લોકો સહિતના દોડી આવ્યા હતા અને કોઈએ 108ને જાણ કરતા 108ની ટિમ સ્થળ પર પહોંચી ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. બનાવની જાણ એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલએ ખસેડ્યો હતો.
નેપાળી પરિવાર પખવાડિયા પહેલા જ રાજકોટ આવ્યો હતો પતિ ઓપેરા ટાવરમાં પગીપણું કરતો હતો. તેણીએ વહેલી સવારે ક્યાં કારણોસર પગલું ભરી લીધું તે અંગે પતિ પણ જાણતો ન હોઈ કારણ જાણવા પોલીસે તપાસ આગળ ધપાવી છે, પરિણીતાના મોતથી એક પુત્રી એક પુત્ર માતા વિહોણા બન્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application