ભારતમાં VVIP મુસાફરો, ખાસ કરીને રાજકીય નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓની હવાઈ મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવા માટે DGCA એ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય સુરક્ષાને સર્વોપરી રાખવાનો છે.
પાયલટ બનશે 'કમાન્ડર-ઇન-ચીફ'
નવા નિયમો મુજબ, વિમાન કે હેલિકોપ્ટરના પાયલટને સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે. જો પાયલટને લાગે કે હવામાન ખરાબ છે અથવા વિમાનમાં નાની ટેકનિકલ ખામી છે, તો તે ફ્લાઇટ મોડી કરી શકે છે, રૂટ બદલી શકે છે અથવા તેને રદ પણ કરી શકે છે. DGCA એ સ્પષ્ટ કર્યું છે કે પાયલટના આ નિર્ણયમાં કોઈ પણ વીઆઈપી મુસાફર કે ઓપરેટર દબાણ કરી શકશે નહીં.
વિમાનમાં સામાન્ય ટેકનિકલ ખામીને લઈને પણ હવે 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવવામાં આવી છે. જો નિર્ધારિત લઘુત્તમ ધોરણો કરતા હવામાન સહેજ પણ ખરાબ હશે, તો ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ખાસ કરીને ચૂંટણીના સમયગાળા દરમિયાન થતી ઉડાણોને 'હાઈ-રિસ્ક' કેટેગરીમાં રાખવામાં આવી છે.
માત્ર અનુભવી પાયલટોને જ જવાબદારી
VVIP ફ્લાઇટ્સ માટે હવે ગમે તે પાયલટ સેવા આપી શકશે નહીં. આ માટે પાયલટ પાસે ઓછામાં ઓછો 2,000 કલાકનો ઉડાન અનુભવ હોવો અનિવાર્ય છે. આ ઉપરાંત દરેક ઉડાન પહેલાં 'રિસ્ક એસેસમેન્ટ' (જોખમનું મૂલ્યાંકન) કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેથી સંભવિત જોખમોને અગાઉથી ઓળખી શકાય.
ઓપરેટર્સ અને હેલીપેડ પર કડક દેખરેખ
જવાબદારી નક્કી: જો નિયમોનું ઉલ્લંઘન થશે, તો ફ્લાઇટ ઓપરેટર્સને સીધા જવાબદાર ગણીને તેમના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
દૂરના વિસ્તારોમાં સુરક્ષા: અંતરિયાળ વિસ્તારોમાં આવેલા હેલીપેડ પર વધારાની તપાસ અને સુરક્ષાના સાધનો તૈનાત કરવામાં આવશે.
પૂર્વ સૂચના: જો ફ્લાઇટના રૂટમાં ફેરફાર થાય કે વિલંબ થાય, તો તેની જાણ વીઆઈપી મુસાફરોને અગાઉથી કરવી પડશે જેથી કોઈ અફરાતફરી ન સર્જાય.
DGCA દ્વારા લેવામાં આવેલા આ પગલાથી દેશમાં VVIP ઉડાનો દરમિયાન થતા અકસ્માતોની સંભાવના નહિવત થઈ જશે અને સુરક્ષાનું માળખું વધુ મજબૂત બનશે.