ભાણવડ નજીક શનિદેવના જન્મસ્થાન હાથલા ખાતે વિશિષ્ટ ઉજવણી

  • May 27, 2025 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શનિ જયંતિ નિમિત્તે ગઇકાલે મધરાતથી જ હાલાર સહિત દેશભરમાંથી ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા


ભારતના એક માત્ર શનિદેવના જન્મ સ્થાન હાથલા (ભાણવડ)માં આજે શનિ જ્યંતીની ઉજવણી કરાઈ રહી છે.જેને અનુલક્ષીને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.આજે રાત્રે હાથલા ખાતે ભવ્ય લોકડાયરો યોજાશે અમાસના દીને દ્વારકા જિલ્લાના ભાણવડના હાથલા ગામે આવેલા શનિદેવના જન્મ સ્થાન મંદિરે શનિ જન્મ જ્યંતીની ભવ્ય ઉજવણી માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.ગઈ રાત્રીથી જ ભાવિકો ઉમટી પડ્યા છે. શનિદેવની માનતા રાખતા ભક્તો અહીંયા ચપ્પલ ઉતારી પનોતી ઉતારે છે અને અહીં લોકોની આસ્થા જોડાયેલી છે.અહીં ભક્તો દ્વારા જાણવા મળ્યું કે ભક્તો સાચી શ્રધ્ધા અને સાચા મનથી માનતા રાખે છે અને ભગવાન શ્રી શનિદેવ પાસે જે માંગણી કરે છે તે પુરી થાય છે ભગવાન શનિદેવ બધાની માનતા પુરી કરે છે એટલે જ વર્ષોથી અહીંયા ભક્તોની આસ્થા જોડાયેલી છે.


દ્વારકા જિલ્લાના હાથલા ગામે અત્યંત પ્રાચીન શનિદેવનું મંદિર આવેલું છે જે ખૂબ ઐતિહાસિક છે તથા પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત સ્થળ જાહેર કરવામાં આવેલું છે.અહીં પ્રાચીન વાવ આવેલી છે તથા મંદિરથી પાસે વિશાળ તળાવ પણ આવેલું છે. શનિદેવની બે અત્યંત પ્રાચીન ભવ્ય પ્રતિમાઓ તથા મંદિરના ગર્ભ ગૃહમાં જ સાડા સાતી પનોતી તથા અઢી વર્ષની પનોતીની પ્રાચીન પ્રતિમા ફણારૂપે છે, મંદિરની બહાર જ પ્રાચીન હનુમાનજી તથા નજીકમાં કુવા પાસે જ બીલીના વૃક્ષ નીચે મહાદેવ પણ બિરાજમાન છે.અહીં શનિવાર, રવિવાર તથા મંગળવારે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટે છે વળી શનિદેવનું ભારતમાં એક માત્ર જન્મ સ્થળ હોવાથી તથા ભારતમાં પનોતી દેવીના બન્ને પનોતીના મંદિરો અહીં હોવાથી પનોતી ઉતારવા પણ અહીં ભાવિકો દર દરથી આવે છે.


શનિ જ્યંતી હોય ત્યારે તો ભાવિકો એટલી મોટી સંખ્યામાં આવે છે કે અહીં ભાવુકો પનોતીરૂપે પોતાના બુટ, ચપ્પલ પગરખાં મૂકી જાય છે તેના ટ્રેકટરો ભરાય છે તથા અહીં સ્નાન કરવાનું પણ ખૂબ જ મહત્વ છે તથા વ્યવસ્થા છે. મંદિરની બાજુમાં વાછડા ડાડાની જગ્યા પણ આવેલી છે શનિ જ્યંતી હોય મંદિરના ટ્રસ્ટીઓ તથા પૂજારી દ્વારા તથા ભક્તો દ્વારા તે દિવસે લાખો ભક્તો અહીં આવતા હોય તેમના માટે વ્યવસ્થા માટે વિશાળ ગ્રાઉન્ડમાં સગવડો ઉભી કરાય છે તથા અહીં તે દિવસે દોઢ-બે લાખ ભાવિકો પ્રસાદી પણ લેતા હોય ગુંડી ગાંઠિયાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


અગાઉ રાજ્ય સરકાર દ્વારા અહીં થોડી સુવિધા ઉભી કરવામાં આવી હતી તે પછી ફરીથી સમગ્ર વિસ્તારમાં સગવડો ઉભી કરવા સાડા સાત કરોડના ખર્ચે નવા વિકાસનું આયોજન પણ આ વિસ્તારના ધારાસભ્ય, કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા થયું છે.શનિ જ્યંતી આજે જ ઉજવાઈ છે આ વખતે બે અમાસ થતા સોમવારે પણ ક્યાંક ઉજવણી થઈ હતી પણ અહીં આજ જ છે તેમ અગ્રણી અને હાથલા ગામના સરપંચ વિનોદભાઈએ જણાવ્યું હતું.


અત્રે ઉલ્લેખનીય છે કે, મંદિરના વિકાસ માટે ભક્તો દ્વારા ઘણા પ્રયત્નો કરાયા હતા. આજે શનિ જ્યંતી છે તેથી ગઈ રાત્રીના 12 વાગ્યા પછીથી જ અહીં ભાવિકો ઉમટી પડે છે જે આજની રાત્રી સુધી ચાલે છે. તથા સમગ્ર વિસ્તાર વાહનોથી ભરાઈ ગયા છે. ભાણવડ પી.આઈ કે.બી.રાજવી દ્વારા ખાસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. પનોતી ઉતારીને જે રસ્તેથી આવ્યા હોઈએ તેના બદલે બીજે રસ્તે જવાની માન્યતા હોય લોકો અહીં પોરબંદર તરફથી આવી ભાણવડ તરફથી જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application