ભારતના ચૂંટણી આયોગ દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત ચૂંટણી આયોગના તા. ૧૧/૧૨/૨૦૨૫ના પત્રથી જાહેર કરાયેલા સુધારા મુજબ, હવે મતદારો પોતાના હક-દાવા અને વાંધા અરજીઓ આગામી તા.૧૮/૦૧/૨૦૨૬ સુધી રજૂ કરી શકશે.
આ સમયગાળા દરમિયાન નાગરિકો પોતાનું નામ મતદારયાદીમાં ઉમેરવા માટે ફોર્મ નંબર-૬, નામ કમી કરાવવા માટે ફોર્મ નંબર-૭ તથા મતદારયાદીની વિગતોમાં સુધારો કરાવવા કે સ્થળાંતર માટે ફોર્મ નંબર-૮ ભરી શકશે. આ ઉપરાંત, જે મતદારોએ પોતાના આધાર પુરાવા રજૂ કરવાના બાકી હોય તેઓ પણ આ સુધારણા કાર્યક્રમનો લાભ લઈ શકશે.
નાગરિકોની સરળતા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી તા. ૨૭/૧૨/૨૦૨૫ અને ૨૮/૧૨/૨૦૨૫ના રોજ તમામ મતદાન મથકો પર ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને દિવસે સવારે ૧૦:૦૦ વાગ્યા થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી તમામ બુથ લેવલ ઓફિસર પોતાના નિર્ધારિત મતદાન મથક પર હાજર રહેશે. લાયકાત ધરાવતા તમામ નાગરિકો અને મતદારો આ ખાસ ઝુંબેશનો મહત્તમ લાભ લઈ પોતાની અરજીઓ અને આધાર પુરાવા રજૂ કરે તેવો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જેમના નામ ન હોય તેઓએ શનિ-રવિમાં મતદાન કેન્દ્રો ઉપર જઇને ડોકયુમેન્ટ આપવા
જામનગર શહેરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પુરો થયા બાદ કેટલાક લોકોના નામ યાદીમાં નથી, જેઓએ ડોકયુમેન્ટ પુરા આપ્યા નથી તેઓએ આગામી તા.૨૭ અને ૨૮ના રોજ જયાં તેઓ મત આપતા હોય તે બુથના મતદાન મથકમાં જઇને બીએલઓને મળીને જરૂરી ખુટતી વિગતો તેમજ દસ્તાવેજ પુરા પાડવા તેથી તેમનું નામ યાદીમાં આવી શકે. તા.૧૮ જાન્યુઆરી સુધી ચુંટણીપંચે જેમના નામ ન હોય તેના માટે ખાસ કાર્યક્રમ ગોઠવ્યા છે ત્યારે મતદારોએ પણ જાગૃત થઇને ચૂંટણીપંચની આ પ્રક્રિયામાં સાથ સહકાર આપવો જોઇએ તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.