‘ટૂંક સમયમાં રાજકોટના કિલ્લામાં ફરીથી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરાશે’ CM શિંદેની મોટી જાહેરાત

  • August 31, 2024 09:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાની ઘટનાને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગઈકાલે (30 ઓગસ્ટ) શિવાજી મહારાજની પ્રતિમાને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.


સિંધુદુર્ગ જિલ્લાના માલવણ તાલુકામાં આવેલ રાજકોટ કિલ્લામાં 17મી સદીના મરાઠા યોદ્ધા શિવાજીની પ્રતિમા 26 ઓગસ્ટના રોજ તૂટી પડી હતી. વિપક્ષે આ ઘટનાની આકરી ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે આ ઘટનાથી મહારાષ્ટ્રના ગૌરવને ઠેસ પહોંચી છે.


CM એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, "છત્રપતિ શિવાજી મહારાજ એક યુગપુરુષ છે. તેઓ રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ છે. રાજકોટના કિલ્લામાં બનેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં ત્યાં ફરીથી ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે."

CM શિંદેએ 'શિવસૃષ્ટિ' પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

મુખ્યમંત્રી એકનાથ શિંદે નંદગાંવમાં વિકસાવવામાં આવી રહેલા 'શિવસૃષ્ટિ' પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યા બાદ લોકોને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે આ પ્રોજેક્ટને નંદગાંવ શહેરના વિકાસ માટે એક ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે તેમની સરકાર મ્યુનિસિપલ કાઉન્સિલના નવા બિલ્ડિંગના નિર્માણ માટે 10 કરોડ રૂપિયા આપશે.


સોમવારે બપોરે દરિયાકાંઠાના સિંધુદુર્ગ જિલ્લાના રાજકોટ કિલ્લામાં મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા પડી હતી. ભારતીય નૌકાદળ દ્વારા બનાવવામાં આવેલી આ પ્રતિમાનું લગભગ 9 મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનાવરણ કર્યું હતું.


સત્તાધીશોએ દાવો કર્યો છે કે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનને કારણે પ્રતિમા તૂટી પડી હતી. જ્યારે બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અનુસાર, સ્ટ્રક્ચર ડિઝાઇન કરતી વખતે આના કરતાં લગભગ ત્રણ ગણી વધારે પવનની ગતિને ધ્યાનમાં લેવામાં આવે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application