ક્રિકેટ જગતની સૌથી મોટી ટુર્નામેન્ટ હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ICC T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચ રમાશે. આ ઐતિહાસિક મેદાન પર લાખો દર્શકોની હાજરીમાં કઈ ટીમ ટ્રોફી ઉઠાવશે તેના પર સૌની નજર છે. જોકે, આ ખિતાબી જંગ જીતવા માટે ભારતીય ટીમ મેનેજમેન્ટ પ્લેઈંગ ઈલેવનમાં ચોંકાવનારા ફેરફાર કરી શકે છે.
ઓપનિંગ જોડીમાં બદલાવ
ટુર્નામેન્ટ દરમિયાન યુવા ઓપનર અભિષેક શર્માને સતત તકો આપવામાં આવી હતી, પરંતુ તે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફાઈનલ જેવી દબાણવાળી મેચમાં અનુભવને પ્રાધાન્ય આપતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચ સંજુ સેમસન સાથે ઈશાન કિશનને ઓપનિંગમાં ઉતારી શકે છે. ઈશાન કિશન અને સંજુની જોડી પાવરપ્લેમાં આક્રમક શરૂઆત અપાવવા માટે સક્ષમ છે, જે ન્યૂઝીલેન્ડના બોલરો સામે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
મિડલ ઓર્ડર: સૂર્યા, તિલક અને રિંકુ પર દારોમદાર
ભારતનું મિડલ ઓર્ડર આ ટુર્નામેન્ટમાં મિશ્ર રહ્યું છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ભલે મોટા સ્કોર નથી કરી શક્યા, પરંતુ તેમની કેપ્ટન્સી અને મેદાન પરની હાજરી ટીમ માટે મહત્વની છે. બીજી તરફ, તિલક વર્માએ છેલ્લી કેટલીક મેચોમાં શાનદાર લય પકડી છે. ફિનિશર તરીકે રિંકુ સિંહ ભારતનું સૌથી મોટું હથિયાર છે. રિંકુની મેચ ખતમ કરવાની ક્ષમતા તેને ફાઈનલ માટે અનિવાર્ય ખેલાડી બનાવે છે.
ત્રણ ઓલરાઉન્ડરોની ત્રિપુટી: ભારતની અસલી તાકાત
ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ મજબૂત ઓલરાઉન્ડરોનો સમાવેશ નિશ્ચિત મનાય છે:
હાર્દિક પંડ્યા: જે બેટિંગ અને બોલિંગ બંનેમાં સંતુલન લાવે છે.
અક્ષર પટેલ: તેની ચુસ્ત સ્પિન બોલિંગ અને લોઅર ઓર્ડરમાં આક્રમક બેટિંગ નિર્ણાયક રહેશે.
શિવમ દુબે: સ્પિનરો સામે મોટા સિક્સર મારવા માટે જાણીતા દુબે મિડલ ઓવરોમાં રન રેટ વધારી શકે છે.
બોલિંગ એટેક: બુમરાહ અને વરુણ ચક્રવર્તીનો જાદુ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ પર બોલિંગની જવાબદારી વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલર જસપ્રીત બુમરાહ અને ડાબા હાથના પેસર અર્શદીપ સિંહ પર રહેશે. આ બંનેની જોડી ડેથ ઓવરોમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને રોકવા માટે તૈયાર છે. સ્પિન વિભાગમાં વરુણ ચક્રવર્તી મુખ્ય ભૂમિકામાં હશે. તેની 'મિસ્ટ્રી સ્પિન' કિવિ બેટ્સમેનો માટે કોયડો બની શકે છે.
અમદાવાદમાં 'ચક્રવ્યૂહ' તૈયાર
બંને ટીમો અમદાવાદ પહોંચી ચૂકી છે અને પ્રેક્ટિસ સેશન દરમિયાન પરસેવો પાડી રહી છે. ભારત પાસે ઘરઆંગણે ચેમ્પિયન બનવાની સુવર્ણ તક છે, પરંતુ ન્યૂઝીલેન્ડ જેવી લડાયક ટીમને હરાવવા માટે ભારતે મેદાન પર પરફેક્ટ ક્રિકેટ રમવું પડશે. જો ઓપનિંગમાં ફેરફાર સફળ રહેશે, તો ભારત 2026ની ટ્રોફી પોતાના નામે કરી શકે છે.