સિગ્નેચર બ્રિજ તૈયાર: ૪૮ ટ્રક દોડાવીને ક્ષમતા મપાઇ

  • January 10, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નજીકના દિવસોમાં વડાપ્રધાનના હસ્તે ઓખા-બેટ વચ્ચેના મહત્વપૂર્ણ બ્રિજનું લોકાર્પણ થઇ શકે છે: ૯૫૦ કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલ બ્રિજ દ્વારકાની ઓળખ સમાન બની રહેશે: બેટ જતાં દરિયાઇ પરીવહન પર અસર પરંતુ બેટવાસીઓ માટે સુવિધાના ખુલશે દ્વાર

આખરે સપનુ સાકાર થવાની તૈયારી છે, કારણ કે ઓખા-બેટ વચ્ચેનો ઐતિહાસિક સિગ્નેચર બ્રિજ તૈયાર થઇ ગયો છે, કામ પૂર્ણ થઇ ગયું છે અને ગમે ત્યારે આ બ્રિજનું વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન થવાની તારીખ જાહેર થશે, દરમ્યાનમાં બ્રિજની ક્ષમતા કેવી છે ? કામ મજબુત થયું છે કે કેમ ? કોઇ ખામી તો રહી નથી ને ? તે ચેક કરવાના આશયથી તંત્ર દ્વારા ગઇકાલે આ બ્રિજ પર હેવી માલ લોડ કરીને એકી સાથે ૪૮ ટ્રક દોડાવવામાં આવ્યા હતાં, જેનાથી એ બાબત સ્પષ્ટ થઇ છે કે સિગ્નેચર બ્રિજનું કામ સંપૂર્ણ રીતે થઇ ગયું છે.
દેવભૂમિ દ્વારકા ચારધામ પૈકીનું એક છે, ઘણા નાના-મોટા ધર્મસ્થાનો આ જિલ્લામાં આવેલા છે, આ પૈકીના બેટ દ્વારકાનું એટલું જ મહત્વ છે, વર્ષોથી અહીં જવા માટે ઓખા જેટીએથી પેસેન્જર બોટ મારફત લોકોને જવું પડે છે અને દરિયાના મીજાજ પ્રમાણે ગમે ત્યારે પરીવહન બંધ પણ થઇ જતું હોય છે.
હવે આ તમામ સમસ્યાઓ આવનારા દિવસોમાં પૂર્ણ થશે, કારણ કે  ૨૩૨૦ મીટરના એટલે કે ૩.૭૩ કિ.મી. લાંબા અને ૨૭.૨ મીટર પહોળા સિગ્નેચર બ્રિજનું કામ પૂર્ણ થઇ ગયું છે, ૭ ઓકટોબર ૨૦૧૭ના  રોજ બ્રિજ બનાવવાની કામગીરીનો શુભારંભ થયો હતો અને ૩૬ મહીનામાં કામ પૂર્ણ કરવા માટેની ડેડલાઇન અપાઇ હતી. દરિયા પર બનેલા આ બ્રિજનો નજારો જેટલો ખુબસુરત છે તેટલી તેની સફર પણ અદભૂત અનુભવ આપનાર બની રહેશે. આ બ્લુ બેલ બ્રિજ દ્વારકા માટે એક નજરાણુ બની રહેશે અને સ્વભાવિક રીતે બ્રિજનું લોકાર્પણ થઇ ગયા બાદ ગુજરાત અને દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં આવશે.
ઓખા-બેટ સિગ્નેચર બ્રીજનું કામ પૂર્ણ થતાં ગઈકાલે બ્રીજ પર ૪૪૭૦૦ કિલો વજન લૉડ કરેલી ૪૮ ટ્રક એક સાથે બ્રીજની કૅપેસિટીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. સફળ ટેસ્ટિંગ બાદ બ્રીજના લોકાર્પણની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. અંદાજે ૯પ૦થી વધુ કરોડના ખર્ચે બનેલ આ સિગ્નેચર બ્રીજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ હોય ટૂંક સમયમાં લોકાર્પણની તારીખ જાહેર થઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ દરમિયાન બેટ ખાતે દેશભરમાંથી અસંખ્ય વૈષ્ણવો તેમજ શિખ સમુદાયના લોકો દર્શનાર્થે આવતાં હોય છે અને અત્યાર સુધી ઓખાથી બોટ મારફત બેટ જતાં હોય છે. પરંતુ આગામી દિવસોમાં પોતાના વાહન મારફત ડાયરેક્ટ બેટ જઈ શકશે. ઓખા-બેટ વચ્ચે ચાલતી બોટ સાંજે ૬ વાગ્યે બંધ થઈ જતી હોય છે જેના કારણે સાંજના ૬ વાગ્યા પછી ભાવિકો કે સહેલાણીઓ બેટ જઈ શકતાં ન હતાં, પરંતુ હવે સિગ્નેચર બ્રીજ આગામી દિવસોમાં શરુ થયે ગમે ત્યારે બેટ જઈ શકાશે.
બ્રિજનું કામ પૂર્ણ થવાની આરે હતું ત્યારે પણ એ વાત ઉઠી હતી કે, ટુંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બ્રિજનું લોકાર્પણ થશે, હવે જયારે સિગ્નેચર બ્રિજનું કામ પૂર્ણ થઇ ગયું છે અને મોટી ટ્રાયલ રન પણ થઇ ગઇ છે ત્યારે એવું માનવામાં આવે છે કે, સંભવીત નજીકના દિવસોમાં જ વડાપ્રધાનના હસ્તે બ્રિજનું ઉદઘાટન થઇ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application