આખરે..., ભાણવડના હાથલા નજીક આવેલા શનિદેવ મંદિરનો થશે વિકાસ

  • July 09, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં પનોતી દેવીનું આવું કયાંય મંદિર નથી: ફરીથી ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ થશે


દ્વારકા જિલ્લામાં ભાણવડના હાથલામાં શનિદેવનું જન્મ સ્થાન હોય, આ ઐતિહાસિક અને સમગ્ર દેશમાં આ એકજ સ્થળે ન્યાયના દેવતા શનિનું જન્મસ્થાન હોય આ ઐતિહાસિક મંદિરના વિકાસ માટે કરોડોનું આયોજન થવા છતાં પણ સાડા ચારેક વર્ષથી આ કાર્ય અટક્યું હતું. જેને જાણે ’ગ્રહ’ નડતા હોય અને ગ્રહની નડતર મામલો ચમકતા નાબૂદ થઈ ગઈ હોય તેમ તંત્ર જાગૃત થયું છે કરોડો રૂપિયાના ખર્ચે શનિદેવની જગ્યા હાથલાના વિકાસ માટે કોન્ટ્રાક્ટરને કામ અપાયું હતું, પરંતુ આ મંદિરનું કામ કોણ જાણે કેમ અટકી ગયું તે સમજાતું નથી, રાજયના પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને હાલના કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરાએ પણ આ મંદિરનો વિકાસ થાય તે માટે રસ લીધો હતો, આખરે સરકાર ફરીથી જાગી ઉઠી છે અને અગાઉનો કોન્ટ્રાકટ રદ કરીને નવી ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ થશે.


આ પછી તેણે કામ બંધ કરી દેતા નોટિસો આપીને આ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરાયો છે. તથા તેને બ્લેકલીસ્ટ કરવાની કામગીરી કરવાની સાથે હવે પછી આ કામ માટેની ફરીથી ટેન્ડરિંગ પ્રક્રિયા શ કરવા માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત સ્થળ એવા આ શનિદેવ મંદિરે શનિદેવની બે પ્રાચીન પ્રતિમા તથા કુંડ, તળાવ, મહાદેવ મંદિર તથા સાડાસાતી અને અઢી વર્ષની બે પનોતીદેવીની પ્રતિમાઓ પણ આવેલી છે. ભારતમાં ક્યાંય આવું પનોતીદેવીનું મંદિર નથી જે આ જગ્યાએ વિશેષ છે.


ભાણવડથી આશરે 18 કિ.મી. દુર આવેલા હાથલામાં આવેલા શનિદેવ મંદિરમાં શનિ જયંતિનું ખુબ જ મહત્વ છે, લોકો તેમના બુટ અને ચપ્પલ ત્યાં મુકીને માનતા પુરી કરે છે, શનિદેવની જગ્યાને વિકસાવવા માટે અગાઉના મુખ્યમંત્રી વિજયભાઇ પાણીએ જાહેરાત કરી હતી, ત્યારબાદ કોન્ટ્રાકટરને કામ પણ અપાયું હતું, પરંતુ આ કામ કયાં સંજોગોમાં બંધ કરી દેવામાં આવ્યું તે હજુ સુધી બહાર આવ્યું નથી. ખાસ કરીને શનિદેવની બે પ્રાચીન પ્રતિમા, કુંડ તળાવ અને મહાદેવનું મંદિર પણ આવેલું છે, ગુજરાતભરમાંથી હજારો લોકો લગભગ ખાસ કરીને શનિવારે તેમની માનતા છોડવા માટે શનિદેવને શીશ ઝુકાવવા આવે છે અને એવું કહેવાય છે કે, આ માનતા દુર કરતી વખતે ભાણેજને પણ સાથે રાખવામાં આવે છે અને જેમની માનતા હોય તેઓ તેમના બુટ-ચપ્પલ આ મંદિરના પરીસરમાં છોડીને નિકળી જાય છે.

ભાણવડ અને બરડા ડુંગર વિસ્તાર ખુબ જ હરીયાળો છે, શનિદેવના મંદિર ઉપરાંત કિલેશ્ર્વર મહાદેવનું મંદિર પણ ખુબ જ પ્રાચીન છે, કૃષ્ણ ભગવાન પણ ત્‌યાં છ વર્ષ રહ્યા હતાં તેવી લોકવાયીકા છે, ઉપરાંત બિલેશ્ર્વર અને ભાણવડ નજીક આવેલા ઇન્દ્રેશ્ર્વરનું મંદિર પણ ખુબ જ પ્રાચીન હોય લોકોનું આસ્થાનું કેન્દ્ર બની રહે છે, એવું પણ કહેવાય છે કે, ભાણવડ નજીક આવેલા ઇન્દ્રેશ્ર્વર મહાદેવ મંદિરમાં સવારે 4થી 5:30 દરમ્યાન મંદિર હોવા છતાં પણ કોઇ વ્યકિત મહાદેવની પુજા કરી જાય છે, આ રહસ્ય હજુ સુધી બહાર આવ્યું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application