આટકોટમાં ગરીબોનું રાશન કાળાબજારમાં વેચવાનું કૌભાંડ, ચાર માસથી કારસ્તાન ચાલતું, અનાજનો જથ્થો સંગ્રહ કરવા ગોડાઉન પણ રાખ્યું’તુ

  • June 02, 2025 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગરીબોના રાશન કાળાબજારમાં વેચી દેવાના કૌભાંડનો રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે પદાર્ફાશ કર્યો છે. જસદણ-ગઢડીયા ચોકડી પાસેથી 6.83 લાખના ચોખાનો જપ્ત કરી રૂ.૧૬.૮૨ લાખના મુદામાલ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. જ્યારે સપ્લાયર મયુર મોરીની શોધખોળ શરૂ કરી છે. જસદણનો મયુર મોરી આટકોટમાં ભંગારના ધંધા સાથે ગોડાઉનમાં કાળાબજારનો અનાજનો જથ્થો ભરતો હતો.


ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે વોચ ગોઠવી હતી

દરોડાની વિગત મુજબ, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને એસપી હિમકરસિંહ દ્વારા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સસ્તા અનાજના ઘઉં-ચોખાના જથ્થાનો સંગ્રહ કરી વેચાણ કરતા શખસો કે વેપારી પર કાયદેસર કાર્યવાહી કરવાની આપેલ સૂચનાથી ગ્રામ્ય એસોજી પીઆઇ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.એમ.ચાવડા ટીમ સાથે જસદણ વિસ્તાર પેટ્રોલિંગમાં હતો દરમિયાન સ્ટાફને આટકોટથી બાવળા તરફ જતા રસ્તા પર એક ટ્રકમાં શંકાસ્પદ અનાજનો જથ્થો ભરેલ હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે વોચ ગોઠવી હતી.


ટ્રકમાંથી કોઈપણ બિલ કે આધાર વગર ચોખાનો મોટો જથ્થો મળ્યો

એસઓજીની ટીમ જસદણ ગઢડીયા ચોકડી પાસે વોચમાં હતી ત્યારે ત્યાંથી પસાર થયેલ ટ્રક નંબર જીજે 12 બી ડબલ્યુ 9432 ને અટકાવી તેમાં તપાસ કરતા ટ્રકમાંથી કોઈપણ બિલ કે આધાર વગર ચોખાનો મોટો જથ્થો મળી આવતા પોલીસની ટીમે ચોખાની બોરીઓ 300 નંગ, ૨૭.૩૦૫ ટન રૂ.૬.૮૨ લાખનો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક અવધ કિશોર વિશ્વનાથ રાય (ઉ.વ.44),(હાલ રહે. અંજાર ટ્રાન્સપોર્ટ નગર), (મૂળ રહે હરમપુર ઉત્તર પ્રદેશ) ની ધરપકડ કરી ચોખાનો જથ્થો અને ટ્રક મળી કુલ રૂ.૧૬.૮૨ લાખનો જથ્થો જપ્ત કર્યો હતો.


ચોખાનો જથ્થો ટ્રકમાં ભરી બાવળા લઈ જતો હતો

વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલ શખસે કબુલાત આપી હતી કે, તેને મયુર નિલેશ મોરી (હાલ રહે. જસદણ બાયપાસ સર્કલ, વડલા વાળી, મૂળ રહે બોટાદ) એ ચોખાનો જથ્થો ભરી આપ્યો હતો અને તે ચોખાનો જથ્થો ટ્રકમાં ભરી બાવળા લઈ જતો હતો.


રાશનના કોટા ધરાવતા લોકો પાસેથી અનાજ લઈ આવતો

વધુમાં મળતી વિગત મુજબ, મયુર મોરી આટકોટ શિવ હોટલની બાજુમાં ભંગારનો ડેલો ધરાવે છે અને તેની બાજુમાં તેનું એક ગોડાઉન પણ આવ્યું છે, તેમજ મયુર મોરી આટકોટ જસદણ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાંથી રાશનના કોટા ધરાવતા લોકો પાસેથી અનાજ લઈ આવી પોતાના ગોડાઉનમાં સંગ્રહ કરતો અને બાદમાં મોટો જથ્થો સપ્લાય કરતો હતો. તમામ મુદ્દામાલ સીઝ કરી પુરવઠા વિભાગને જાણ કરી આગળની તપાસ પુરવઠા વિભાગ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application