રાજકોટ, જામનગર,સુરેન્દ્રનગર જિલ્લામાં ગૌચરની જમીન ખાનગી આસામીઓને આપવાનું કૌભાંડ

  • July 03, 2023 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સર્વે ભવનનું નામ બદલીને ભ્રષ્ટાચાર ભવન રાખવા પ્રદેશ કિશાન કોંગ્રેસ આગેવાન પાલ આંબલીયાની માગણી: સર્વે ભવનના નાયબ નિયામકને આવેદનપત્ર પાઠવ્યું




ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયાની આગેવાની હેઠળ આજે ખેડૂતોનું એક પ્રતિનિધિ મંડળ રાજકોટમાં સર્વે ભવનના નાયબ નિયામકની કચેરીમાં પહોંચ્યું હતું અને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે રાજકોટ, જામનગર સુરેન્દ્રનગર સહિતના મોટા શહેરોની આસપાસના ગામોમાં સરકારી ખરાબાની અને ગૌચરની કિંમતી જમીન ખાનગી આસામીઓને પધરાવવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. નામકરણ માટે ગુજરાત સરકાર શોખીન છે અને તેથી તેમણે સર્વે ભવનનું નામ બદલીને ભ્રષ્ટાચાર ભવન કરી દેવું જોઈએ.



કરોડો-અબજો રૂપિયાના આ કૌભાંડ બાબતે પાલ આંબલીયાએ આવેદનપત્રમાં એવો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે ખેડૂતોની જમીન માપણી માં મોટું કૌભાંડ થયું છે. આ બાબતે એજન્સી સામે કોઈ કાર્યવાહી થઈ નથી. જમીન માપણી સામે 2017 -18 માં અરજી કરનાર ખેડૂતોને એવો જવાબ આપવામાં આવે છે કે ક્રમાનુસાર આવી અરજીઓનો નિકાલ કરાશે. પરંતુ બીજી બાજુ 2022 માં જે લોકો અરજી કરીને પૈસા આપે છે તેમના કામનો પાંચ દિવસમાં નિકાલ થઈ જાય છે.



ભૂલ ભરેલી માપણીના કારણે મોટા શહેરોની આસપાસના ગામોના અને હાઇવે નજીકના સરકારી ખરાબાઓ સાથણીની જમીન અને ગૌચરની જમીન ખાનગી આસામીઓના નામે કરવાનું કૌભાંડ ચાલતું હોવા છતાં સરકારને તેની ખબર ન હોય તે માની લેવાની કોઈ કારણ નથી.


પાલભાઈ આંબલીયા એ જણાવ્યું જણાવ્યું છે કે ભૂતકાળમાં અમારી લડતના કારણે દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સામોર અને જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામના તમામ સર્વેમાં માપણી ખોટી હોવાનું બહાર આવ્યું છે. પરંતુ અત્યારે જ્યારે એક ખેડૂત સુધારા માટે અરજી કરે ત્યારે તેની અસર ચાર ખેતરમાં દેખાતી હોય છે આમ એક ભૂલ સુધારવા જતા નવી ચાર ભૂલ ઊભી થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application