ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા મુસાફરોને શાંતિબઘ્ધ વાતાવરણ માટે બે મહત્વના નિયમો જારી કરવામાં આવ્યા છે જેમાં મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો તેમજ ઉંચા અવાજે મોબાઇલ ફોન પર વાત ન કરવી અથવા તો હેડફોનનો ઉપયોગ કરવો તેમજ મોબાઇલ ફોન સાયલન્ટ મોડ પર રાખવા સુચન આપેલ છે.
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજયની પ્રજાને સામાજીક સેવાના ભાગરૂપે દૈનિક ૩૭ હજારથી વધુ ટ્રીપો સંચાલીત કરી ૨૭ લાખ મુસાફરોને લાંબા અને ટુંકા અંતરની પરીવહન સેવાનો લાભ નિગમની વિવિધ પ્રકારની બસ સર્વિસો થકી મુસાફરલક્ષી અભિગમ દાખવી આપવામાં આવી રહેલ છે, આ નિગમ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચાડવા શાંત, સ્વચ્છતા, સલામત અને સમયબઘ્ધ પરીવહન સેવા પુરી પાડવા કટીબઘ્ધ છે.
નિગમની બસોમાં લાંબા અંતરની મુસાફરી દરમ્યાન કેટલાક મુસાફરો દ્વારા ઉંચા અવાજે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાથી બસોમાં અન્ય મુસાફરી કરતા મુસાફરોને અડચણ અને ખલેલ પહોંચે છે જેથી બસોમાં મુસાફરો વચ્ચે ઝઘડા અને મતભેદ થવાની શકયતા રહેલ છે, આ સંજોગમાં મુસાફરો માટે શાંતિપૂર્ણ મુસાફરીના વાતાવરણને જાળવી રાખવા માટે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ ખાતેથી સંચાલીત તમામ બસ સર્વિસોમાં ફરજ બજાવતાં લોકો દ્વારા બસમાં હાજર મુસાફરોને મોબાઇલ ફોન ઉપયોગ દરમ્યાન કૃપા કરીને હેડ ફોન વાપરો તેમજ તમારા ફોનને સાયલન્ટ મોડ પર રાખો તેમ ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના મુખ્ય પરીવહન અને વાણિજય વ્યવસ્થાપક દ્વારા ગુજરાત રાજયના તમામ ડેપો મેનેજરોને સુચના આપેલ છે.