જલારામ બાપા વિશે વિવાદિત ટીપ્પણી કરનાર સ્વામીનારાયણના સ્વામીને રૂપાલાએ કહ્યું- બોલતા પહેલા અરીસામાં જોવું જોઈએ

  • March 04, 2025 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશે સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. ત્યારે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, સ્વામીની કોઈ હેસિયત નથી જલારામ બાપા વિશે બોલવાની, આ સંત સામે બોલતા પહેલા તેમણે અરીસામાં જોવું જોઈએ.  


જલારામ બાપા સમગ્ર વિશ્વનું શ્રદ્ધાનું કેન્દ્ર 
રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, જે સ્વામીએ આ નિવેદન આપ્યું છે હું તેનું નામ પણ નથી જાણતો. આવા સ્વામીને સ્વામિનારાયણ સંપ્રદાય અન્ય સંતો અને અનુયાયીઓ દ્વારા જ તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. આવા નિવેદનથી સંપ્રદાયે બચવું જોઈએ. આ ખૂબ જ દુઃખદ વાત છે. જલારામ બાપા સમગ્ર વિશ્વનું શ્રદ્ધાનું કેન્દ્ર છે.


શું છે સમગ્ર વિવાદ
વડતાલ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાનપ્રકાશ સ્વામીએ સુરતમાં સત્સંગમાં કહ્યું હતું કે, જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો છે. ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતાં. જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માગ્યા હતા કે સ્વામી, મારું એક માત્ર લક્ષ્ય કે ઇચ્છા છે કે અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે, તેને પ્રસાદ મળે. જલા ભગતે ગુણાતીત સ્વામીને બાટી અને દાળ જમાડ્યા... ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા કે તમારો ભંડાર કાયમ માટે ભર્યો રહેશે. નોંધનીય છે કે, આ નિવેદનથી જલારામ બાપાના ભક્તોની લાગણી દુભાઇ છે.


જ્ઞાનપ્રકાશ સ્વામીના જલારામ બાપા પરના નિવેદનથી રોષ જોવા મળ્યો છે. રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. સત્સંગનો વીડિયો વાઇરલ થતાં ઠેર ઠેર વિરોધ અને રોષ જોવા મળી રહ્યો છે.



વિવાદ વધતા સુરત ખાતે જ્ઞાનપ્રકાશ સ્વામીએ એક વીડિયો જાહેર કરીને માફી માંગી છે. વીડિયોમાં તેમણે જણાવ્યું છે કે,"સંત શિરોમણિ જલારામ બાપાનાં ચરણોમાં સત્-સત્ વંદન. સાથે મારી વાત રજૂ કરું છું. થોડાક સમય પહેલાં એક બુકમાં એક પ્રસંગ મેં વાંચ્યો હતો. એ જ પ્રસંગ એક મેગેઝિનમાં પણ વાંચ્યો હતો. મને લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું, "અયોધ્યામાં જલારામ બાપાએ જે કાર્યો કર્યાં અને ભગવાનના થાળ અંગે જે વાતો છે, તે અંગે મેં વાત કરી હતી. તેમ છતાં, જો કોઈપણ સમાજને કે વ્યક્તિને મારી વાત દુઃખદ લાગી હોય, તો હું સાચા દિલથી માફી માગું છું."તેમણે વધુમાં જણાવ્યું કે, "આ વીડિયો અમે તરત જ હટાવી લીધો છે."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application