જામનગર-દ્વારકા જિલ્લાને જોડતા રાષ્ટ્રીય માર્ગો માટે રૂા. ૧ર૭૧.૦ર કરોડ મંજુર

  • April 08, 2025 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાંસદને ટેગ કરીને વિગતો આપતા નિતીન ગડકરી: પોરબંદર-જામખંભાળીયા, જુનાગઢ-જામનગર અને રાજકોટ-પોરબંદર માર્ગનો સમાવેશ: આ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં આઠ મોટા પુલ અને દસ બાયપાસ બનશે: આભાર માનતા પુનમબેન માડમ


જામનગર અને દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર જિલ્લાને જોડતા નેશનલ હાઇવેની જબ્બરદસ્ત કાયાપલટ થશે, કારણ કે કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા આ માર્ગોને ડબ્બલ ટ્રેક બનાવવા તેમજ પુલ અને બાયપાસ બનાવવા માટેની મહત્વાકાંક્ષી યોજના માટે રૂા. ૧ર૭૧.૦ર કરોડની જંગી રકમની ફાળવણી કરી છે અને આ બાબત જામનગર જિલ્લા, દ્વારકા જિલ્લાના રસ્તાઓના વિકાસ માટે મહત્વની બની રહી છે, ગઇકાલે ટવીટર મારફત કેન્દ્રીય મંત્રી દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી અને જામનગર જિલ્લાના સાંસદને ટેગ પણ કરવામાં આવ્યા હતા.


છેલ્લા કેટલાક સમયથી ધોરીમાર્ગો પર અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વઘ્યું છે, જો માર્ગ સારા હોય તો અકસ્માતોનું પ્રમાણ મહદ્દ અંશે ઘટાડી શકાય, આ રીતે જોઇએ તો, આવનારા વર્ષોમાં સાકાર થનાર નેશનલ હાઇવેની ઉપરોક્ત કાયાપલટથી જામનગર-દ્વારકા અને પોરબંદરના દરિયાઇ પટ્ટીના જિલ્લાઓના માર્ગો ખૂબ જ સુદ્રઢ બનશે, જે પરિવહનની દિશામાં તો વિકાસ લાવનારા બનશે, સાથે સાથે અહીંના ધર્મસ્થાનોમાં આવતા લાખો યાત્રાળુઓ માટે પણ આ માર્ગો આશીર્વાદરૂપ બની રહેશે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોરબંદર સાથે કનેક્ટેડ નેશનલ હાઇવેનો પ્રોજેક્ટ રૂા. ૧૨૭૧.૦૨ કરોડના ખર્ચે બનશે,જે અંગે કેન્દ્ર સરકારના માર્ગ પરીવહન મંત્રી નિતિન ગડકરીજીએ ટવીટરના માધ્યમથી વિગતો આપી હતી, જેમાં તેઓએ ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમને ટેગ કર્યા હતા.


કેન્દ્રીય માર્ગ પરીવહન મંત્રી નિતિન ગડકરીએ ટવીટરમાં આપેલી વિગતો મુજબ ગુજરાતના પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઈવે-૧૫૧ ના સમગ્ર ૧૧૯.૫૦ કિમી પોરબંદર-ભાણવડ-જામજોધપુર-કાલાવડ સેક્શનને રૂા. ૧૨૭૧.૦૨ કરોડના ખર્ચે પેવ્ડ શોલ્ડર સાથે ૨-લેનમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપવામાં આવી છે.


આ રોડનો પ્રોજેક્ટ પોરબંદર નજીક નેશનલ હાઈવે-૫૧ સાથે તેના જંકશનથી શરૂ થાય છે અને ભાણવડ, જામજોધપુરને જોડે છે અને કાલાવડ નજીક નેશનલ હાઈવે-૯૨૭૦ સાથે તેના જંકશન પર સમાપ્ત થાય છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૧૫૧ ત્રણ મહત્વના ધોરીમાર્ગો એટલે કે પોરબંદર-ખંભાળિયા (૯૨૭), જૂનાગઢ-જામનગર (૯૨૭) અને રાજકોટ-પોરબંદર (૨૭) વચ્ચે કનેક્ટર તરીકે કામ કરે છે.


આ નેશનલ હાઇવેમાં ગ્રેડ-સેપરેટેડ સ્ટ્રક્ચર્સ, ૮ મોટા પુલ અને ૧૦ બાયપાસ સાથેનું અપગ્રેડેશન ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે તેમ પણ ગડકરીજીએ ઉમેર્યું હતુ.


જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાઓને આ રીતે કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના અંતર્ગત નેશનલ હાઇવે મળનારા હોઇ, ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય માર્ગ પરીવહન મંત્રી નિતિન ગડકરીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે. હાલાર-પોરબંદર-રાજકોટ-જુનાગઢને જોડતા નેશનલ હાઇવેથી યાતાયાતને ઘણો ફાયદો થશે અને જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના લગત જિલ્લાને જોડતા પરીવહન વધુ સુગમ બનશે એમ પણ સંસદસભ્ય પૂનમબેન માડમએ ઉમેર્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application