સૌ. યુનિ. ના ત્રણ નિવૃત્ત કુલપતિ સહિત અનેક પ્રોફેસરો પાસે નીકળી લાખોની રિકવરી

  • June 04, 2025 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પગારના મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાલિયા વાડી ચાલે છે તે બાબતે અખબારોમાં અવારનવાર સમાચારો પ્રસિદ્ધ થયા પછી આખરે ગુજરાત સરકારનું ઉચ્ચ શિક્ષણ વિભાગ જાગ્યું છે. અધ્યાપકો, લેક્ચરરો, પ્રોફેસરો વગેરેને કેટલો પગાર ચૂકવવામાં આવે છે? અને કેટલા પગાર માટે આવા શૈક્ષણિક સ્ટાફ લાયક છે? તે સહિતની વિગતો ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગમાં અને સરકારના એકાઉન્ટ સેક્શનમાં લાંબો સમય સુધી ચાલ્યા પછી ત્રણ નિવૃત્ત કુલપતિઓ અને અન્ય પ્રોફેસરો સહિતનાઓ સામે લાખો રૂપિયાની રિકવરી કાઢવામાં આવી હોવાનું જાણવા મળે છે. એક અંદાજ મુજબ 20 થી 25 પ્રોફેસરો પાસે આ પ્રકારે રિકવરી કાઢવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધી માનીતા પ્રોફેસરો અને અધ્યાપકોના પગાર ધોરણમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને સરકાર દ્વારા જે ગ્રેડ પે નક્કી કરવામાં આવતો હોય છે તેમાં વધારાના ઇજાફા અને એક્સ્ટ્રા પેમેન્ટ જેવી બાબતો ઉમેરીને મોટા આર્થિક લાભ આપવામાં આવતા હતા. વર્ષો સુધી આ પ્રકારની પ્રેક્ટિસ ચલાવીને તેને કાયદેસરનું સ્વરૂપ આપવા માટે સિન્ડિકેટની બેઠકમાં મંજૂરી લેવામાં આવતી હતી.

સિન્ડિકેટ ની બેઠકમાં મંજૂર થયા પછી પણ આવા પગાર કે વધારાના આર્થિક લાભ સરકારે અને સરકારના નાણાં વિભાગે મંજૂર રાખ્યા નથી. મોટાભાગના કિસ્સાઓમાં લાખો રૂપિયાની રિકવરી કાઢવામાં આવી છે અને જ્યાં સુધી આ રિકવરી યુનિવર્સિટીમાં જમા કરાવવામાં ન આવે ત્યાં સુધી નિવૃત્તિ પછીના લાભો અટકાવી દેવાની ચેતવણી આપવામાં આવતા જ ધડાધડ નાણા ભરવા માટે આવા પ્રોફેસરો અધ્યાપકો અને નિવૃત્ત કુલપતિઓ આગળ આવી રહ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી ચીફ એકાઉન્ટન્ટની જગ્યા ખાલી પડી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચીફ એકાઉન્ટન્ટ ખેર અત્યારે પ્રતિનિયુક્તિના ધોરણે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં જવાબદારી સંભાળી રહ્યા છે. તેમની ગેરહાજરીમાં આ કામગીરી જિલ્લા પંચાયતના એકાઉન્ટ અધિકારી, ટ્રેઝરી ઓફિસના એકાઉન્ટ અધિકારી અને જુનાગઢ ખાતે પર જ બજાવતા એકાઉન્ટ અધિકારીને ઇન્ચાર્જ ની જવાબદારી સોપી ગાડુ ગબડાવવામાં આવે છે. ઇન્ચાર્જના અલગ અલગ અધિકારીઓના સમયગાળા દરમિયાન આવા ગરબડ ગોટાળા બહાર આવતા તેમના તરફથી પણ આ સંદર્ભે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હોવાનું બહાર આવી રહ્યું છે. માત્ર એક પ્રોફેસર પાસેથી જ રૂપિયા ૪૭ લાખની વસુલાત કરવામાં આવી છે તે બાબત જોતા આ કૌભાંડ કેવડું મોટું હશે તેનો આછેરો અંદાજ આવી શકે તેમ છે.

આ સંદર્ભે એક પ્રોફેસર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અમને તો ખબર જ હતી કે ગમે ત્યારે રિકવરી આવી શકે છે. પરંતુ જ્યાં સુધી વધારાના નાણા મળતા હતા ત્યાં સુધી શા માટે ના પાડવી જોઈએ ? એકાઉન્ટ અને સ્ટેટેસ્ટિક વિભાગના અમુકે તો આ વધારાના નાણા ઇન્વેસ્ટ કરીને વધારાની આવક પણ મેળવી લીધી છે અને હવે જ્યારે વસુલાત આવી છે ત્યારે આ નાણાં ભરપાઈ કરી દેવામાં આવશે. જોકે કટકે કટકે મળેલી રકમ એક સાથે ભરવાનું આવતા અમુક પ્રોફેસરોને તે આકરૂ પણ લાગી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application