રાજકોટવાસીઓના દુઃખ દૂર કરતા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં (કરણસિંહજી હાઈસ્કૂલ, ભૂપેન્દ્ર રોડ) આજે રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પાવન પધરામણી કરી હતી. શહેરના પ્રથમ નાગરિક અને સુરક્ષાના સર્વોચ્ચ અધિકારીએ ઘદ્યના દરબારમાં આસ્થાભેર દર્શન કરી ધન્યતા અનુભવી હતી.પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ બાલાજી હનુમાનજી મહારાજની વિશેષ આરતી અને પૂજા-અર્ચના કરી હતી. આ અવસરે તેમણે રંગીલા રાજકોટની સુખ-શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાની જાળવણી વધુ મજબૂત બને તેવી દાદાના ચરણોમાં પ્રાર્થના કરી હતી. મંદિરમાં ઉપસ્થિત ભાવિકોએ પણ પોલીસ વડાની આ શ્રદ્ધા અને સાદગીને બિરદાવી હતી. મંદિર ખાતે પધારેલા પોલીસ કમિશનરનું મહંત વિવેક સાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી રાધારમણદાસ સ્વામી અને કોઠારી મુનિવત્સલદાસ સ્વામી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સંતોએ કમિશનરને પ્રસાદીનો હાર પહેરાવી અને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે, દાદાની કૃપાથી શહેરની જનતા હંમેશા સુરક્ષિત અને સુખી રહે. આ મુલાકાત વેળાએ મંદિરના ટ્રસ્ટીઓ અને પોલીસ વિભાગના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.