રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરના આદેશથી આરોગ્ય અધિકારી દ્વારા મહાશિવરાત્રીના દિવસે માંસ, મટન, મચ્છી, ચિકન વિગેરે નોનવેજ પદાર્થોનું વેંચાણ નહીં કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું હોવા છતાં ઝેપ્ટો અને સ્વિગી સહિતના સ્ટોર્સમાંથી ઓનલાઇન નોનવેજના ઓર્ડર સ્વીકારી છાનાખૂણે બેફામ વેંચાણ ચાલુ રાખવામાં આવ્યું હોવાની નાગરિકની ફરિયાદ મળતા મહાપાલિકાએ આજે બન્ને સ્થળે દરોડા કાર્યવાહી હાથ ધરીને તત્કાલ અસરથી વેંચાણ બંધ કરાવ્યું હતું તેમજ કુલ ૯૫ કિલો નોનવેજના જથ્થાનો નાશ કર્યો હતો અને બન્નેને રૂ.૧૦-૧૦ હજાર મળી કુલ રૂ.૨૦ હજારનો દંડ ફટકારી તેની સ્થળ ઉપર વસુલાત કરી હતી.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ચીફ હેલ્થ ઓફિસર ડો.જયેશ એલ.વકાણીએ જણાવ્યું હતું કે આજે નાગરિક તરફથી એવા મતલબની ફરિયાદ મળી હતી કે વોર્ડ નં.૧માં ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર આર.કે.આઇકોનિક બિલ્ડીંગમાં દુકાન નં.૦૧થી નં.૦૫માં કાર્યરત ડ્રોગેરિયા સેલર પ્રા.લિ.(ઝેપ્ટો) દ્વારા ઓનલાઇન નોનવેજ ફૂડનું વેંચાણ થઇ રહ્યું છે જેના અનુસંધાને મહાપાલિકાની ટીમ દ્વારા સવારે નવ વાગ્યા આજુબાજુ તપાસ કરાતા ફરિયાદ સાચી હોવાનું માલુમ પડતા મ્યુનિ.ટીમ સ્થળ ઉપર દોડી ગઇ હતી અને ત્યાં આગળ ઝેપ્ટોના સેલર વિભાગમાંથી ૩૫ કિલો નોનવેજના નાના મોટા પેકેટનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કર્યો હતો. આજે નોનવેજ વેંચાણની મનાઇનું જાહેરનામું અમલી હોવા છતાં જાહેરનામાનો ભંગ કરી વેંચાણ કરી જીપીએમસી એક્ટની કલમ-૩૩૬ના ભંગ બદલ ઉપરોક્ત કાર્યવાહી કરાઇ હતી અને તે અંતર્ગત નોનવેજના તમામ પેકેટ સ્થળ ઉપર ખોલી નાખી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ટીપરવાન નં. જીજે-૦૩ જીએ ૧૩૨૭ મારફતે સોખડા ડમ્પીંગ સાઇટ ખાતે રવાના કરી ત્યાં આગળ તેનો નાશ કરવામાં આવ્યો હતો.
ચીફ હેલ્થ ઓફિસરએ ઉમેર્યું હતું કે સવારે સૌપ્રથમ ઉપરોક્ત દરોડા કાર્યવાહી બાદ શહેરમાં હજુ પણ ઓનલાઇન વેંચાણ ચાલુ હોવાની શંકા જણાતા બપોરે ૧૨ વાગ્યા આજુબાજુ ખુદ મહાપાલિકા તંત્રએ જ રિઆલિટી ચેક કરવા ગ્રાહક તરીકે ઓનલાઇન નોનવેજ ફૂડ ઓર્ડર કરવા કાર્યવાહી કરતા શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર અયોધ્યા ચોકમાં આવેલા ઇન્ફિનિટી કોમ્પ્લેક્સમાં કાર્યરત સ્વિગી ઇન્સ્ટામાં ઓનલાઇન નોનવેજ ફૂડનું વેંચાણ ચાલુ હોવાનું માલુમ પડતા તુરંત જ ટીમ સ્થળ ઉપર દોડી ગઇ હતી અને ત્યાંથી વિવિધ નોનવેજ ખાધપદાર્થોના કુલ ૬૦ કિલો પેકેટ જપ્ત કરી ટીપરવાન મારફતે સોખડા ડમ્પીંગ સાઇટ ખાતે રવાના કરી ત્યાં આગળ તેનો નાશ કરવામાં આવ્યો હતો, અહીં પણ રૂ.૧૦ હજારના હાજર દંડની સ્થળ ઉપર વસુલાત કરાઇ હતી.
રાત્રે પણ સતત ચેકિંગ ચાલુ રહેશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવસના સતત ચેકિંગ ચાલુ છે અને સાંજે તેમજ રાત્રીના સમયે પણ ચેકિંગ ચાલુ રહેશે. ખાસ કરીને રાત્રીના સમયે નોનવેજનું વધુ વેંચાણ થતું હોય રાત્રે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને ચેકિંગ થશે.
૧૦ હજારથી વધુ દંડની જોગવાઇ નથી
રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે જાહેરનામાનો ભંગ કરી નોનવેજનું વેંચાણ કરતા ઝડપાય તો મહત્તમ રૂ.૧૦ હજારનો દંડ વસૂલી શકાય છે તેથી વધુ વસૂલી શકાય તેવી જોગવાઇ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech