ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ૧૨ મે, ૨૦૨૬ ના રોજ એક સત્તાવાર આદેશ જારી કરીને મુંબઈ સ્થિત સર્વોદય કો-ઓપરેટિવ બેંક (Sarvodaya Co-operative Bank) નું બેંકિંગ લાયસન્સ રદ કરી દીધું છે. આ આદેશ મુજબ, ૧૨ મેના રોજ કામકાજ બંધ થવાની સાથે જ બેંકની તમામ બેંકિંગ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. રિઝર્વ બેંકના મતે, જો આ બેંકને વધુ સમય કાર્યરત રાખવામાં આવી હોત, તો જનતા અને થાપણદારોના હિતોને ગંભીર નુકસાન થઈ શક્યું હોત.
શા માટે લેવાયું આ કડક પગલું?
રિઝર્વ બેંકે આ બેંકની ખરાબ આર્થિક સ્થિતિને લાયસન્સ રદ કરવા માટે જવાબદાર ગણાવી છે. મુખ્ય કારણો નીચે મુજબ છે:
મૂડીની અછત: બેંક પાસે પૂરતી મૂડી (Capital) નથી અને ભવિષ્યમાં કમાણીની કોઈ શક્યતા દેખાતી નથી.
થાપણો પાછી આપવામાં અસમર્થ: વર્તમાન નાણાકીય સ્થિતિ મુજબ, બેંક તેના થાપણદારોને પૂરેપૂરી રકમ પરત ચૂકવવા સક્ષમ નથી.
નિયમોનું ઉલ્લંઘન: બેંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 11(1) અને 22(3) ની જોગવાઈઓનું પાલન કર્યું નથી.
જનહિતની સુરક્ષા: જો આ બેંકને વેપાર ચાલુ રાખવા દેવામાં આવ્યો હોત, તો સામાન્ય જનતાના હિતોને મોટું જોખમ હતું.
ગ્રાહકોના નાણાં પર શું અસર થશે?
બેંકનું લાયસન્સ રદ થવાથી ગ્રાહકોમાં ગભરાટ ફેલાયો છે, પરંતુ નિયમ મુજબ ગ્રાહકોના પૈસા સુરક્ષિત છે.
DICGC વીમો: લિક્વિડેશન પ્રક્રિયા બાદ, દરેક થાપણદાર 'ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન' (DICGC) દ્વારા પોતાની જમા રાશિ પર દાવો કરી શકે છે.
₹૫ લાખની મર્યાદા: DICGC ના નિયમો હેઠળ, દરેક ગ્રાહકને ₹૫,૦૦,૦૦૦ (પાંચ લાખ રૂપિયા) સુધીની જમા રકમ પાછી મળવાની ખાતરી છે.
સુરક્ષિત થાપણદારો: જે ગ્રાહકોના ખાતામાં ૫ લાખ કે તેથી ઓછી રકમ જમા છે, તેમના નાણાં સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમને નિયમ મુજબ વળતર મળશે.
ગ્રાહકો માટે હવે પછીના પગલાં
હવે આ બેંક કોઈ પણ પ્રકારની બેંકિંગ લેવડ-દેવડ કે થાપણો સ્વીકારી શકશે નહીં. ગ્રાહકોએ વળતર મેળવવા માટે લિક્વિડેટરની નિમણૂક અને આગળની સત્તાવાર સૂચનાઓની રાહ જોવી પડશે. બેંકિંગ ક્ષેત્રના નિષ્ણાતોના મતે, સહકારી બેંકોમાં ખાતું ધરાવતા લોકોએ બેંકની આર્થિક તંદુરસ્તી વિશે જાગૃત રહેવું અનિવાર્ય છે.