ગાંધીધામના વિકાસને નવી ગતિ આપનાર અને દબાણકર્તાઓ સામે લાલ આંખ કરનાર યુવા અને વાયબ્રન્ટ કમિશનર મનીષ ગુરુવાણીની અચાનક બદલી થતાં શહેરભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સ્થાનિક રહીશો આ દિવસને ગાંધીધામ માટે 'કાળો દિવસ' ગણાવી રહ્યા છે. લોકોમાં એવી ગંભીર ચર્ચા છે કે સાહેબની વિદાય સાથે જ શહેરમાં શરૂ થયેલા વિવિધ વિકાસ કાર્યો પર બ્રેક લાગી જશે અને જે દબાણકર્તાઓ પહેલાં સો વાર વિચારતા હતા, હવે તેમને કોનો ડર રહેશે?
અધૂરા કામો અને અટકેલી ગતિ
વર્તમાન સ્થિતિએ આખા ગામમાં રોડ-રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે. ખાસ કરીને મુખ્ય બજારમાં છેલ્લા ૫ મહિનાથી વરસાદી નાલાનું કામ ચાલી રહ્યું છે, જે હજુ માત્ર ૫૦ ટકા જ પૂર્ણ થયું છે. સ્થાનિકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો મનીષ ગુરુવાણી જેવા દ્રઢ ઈચ્છાશક્તિ ધરાવતા અધિકારી ચાલ્યા જશે, તો આ અટકેલા કામો ક્યારે પૂરા થશે? ભરતનગર, આદિપુર અને જૂના સિટી વિસ્તારમાં જે વિઝન સાથે સુવિધાઓ ઊભી કરવાનું કામ શરૂ થયું હતું, તે હવે થંભી જવાની ભીતિ સેવાઈ રહી છે.
જનતા અને સંસ્થાઓમાં આંદોલનના સૂર
ગાંધીધામની પ્રજા અને વિવિધ સામાજિક સંસ્થાઓનું માનવું છે કે શહેરના હિત માટે મનીષ સાહેબની હજુ એક વર્ષ અહીં ખૂબ જ અત્યંત જરૂર છે. સરકારી દફતરો અને કર્મચારીઓમાં શિસ્ત લાવનાર અને વિકાસના કામોને વેગ આપનાર અધિકારીની બદલી રોકવા માટે હવે આંદોલન કરવાની પણ ચર્ચાઓ તેજ બની છે. જો ગાંધીધામને ખરેખર સુવિધાયુક્ત બનાવવું હોય, તો મનીષ ગુરુવાણીની કાર્યશૈલી અને તેમની હાજરી શહેર માટે અનિવાર્ય હોવાનો સૂર ઉઠ્યો છે.