બાળકો પાસે મજુરીકામ કરવનાર ઠેકેદાર સામે ગુનો નોંધવા તજવીજ

  • June 06, 2025 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના સામાકાંઠા વિસ્તારમાં મોરબી રોડ પર ગોપાલ રેસીડેન્સીમાં એક મકાનમાં બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હોવાની માહિતી મળતા રાજકોટ એસઓજી ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ સહિતની ટીમોએ અહીં દરોડો પાડી અહીંથી 19 બાળકોને મુક્ત કરાવ્યા હતા. અહીં ઠેકેદાર બંગાળથી બાળકોને લાવી તેમની પાસે મજૂરી કામ કરાવતો હતો. છેલ્લા એકાદ માસથી આ બાળકો પાસે ઈમીટેશનની મજૂરીકામ કરાવવામાં આવતું હોવાનું માલુમ પડ્યું છે.

ઠેકેદાર બાળકો પર અત્યાચાર ગુજારતા હોવાનો પણ આક્ષેપ થયો છે. ત્યારે પોલીસ દ્વારા અહીંથી મુક્ત કરવામાં આવેલા બાળકોને મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યું છે તેના રિપોર્ટ બાદ એકેદાર સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે તેમજ અહીંથી મુક્ત કરવામાં આવેલા બાળકો પૈકી તમામ સગીરવયના છે કે કેમ ? તે અંગે તેમના જન્મના દાખલા સહિતની બાબતોની ખરાઈ કરવામાં આવી રહી છે.

જાણવા મળતી વિગતો મુજબ, શહેરના મોરબી રોડ પર ગોપાલ રેસીડેન્સીમાં એક મકાનમાં 20 જેટલા બાળકોને ગોંધી રાખી તેમની પાસે બાળમજૂરી કરાવવામાં આવતી હોવાની માહિતીના આધારે એસીપી ક્રાઈમ બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઇ એન.વી. હરિયાણી, ક્રાઈમ બ્રાન્ચ તથા એનટી હ્યુમન ટ્રાફિક યુનિટના પીઆઇ બી.એમ જાણકાંત તથા બી .ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એસ.એસ.રાણે તથા તેમની ટીમ દ્વારા મોડી રાત્રીના મોરબી રોડ પર ગોપાલ રેસીડેન્સીમાં આવેલા મકાનમાં દરોડો પાડ્યો હતો.

પોલીસે દરોડા દરમિયાન અહીં મકાનમાં બાળકોને ગોંધી રાખી તેની પાસે ઇમિટેશનનું મજૂરી કામ કરાવવામાં આવતું હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે અહીંથી 19 બાળકોને મુક્ત કરાવ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે, અજીત ઉલ્લા નામનો શખસ બાળકો પાસે મજૂરીકામ કરાવતો હતો તે બંગાળથી આ બાળકોને અહીં લાવ્યો હતો અને અહીં ગોપાલ રેસીડેન્સીમાં બાબુભાઈ ગોપાલભાઈ મકાન ભાડે રાખ્યું હતું. અજીત ઉલ્લા બાળકો પર અત્યાચાર પણ કરતો હોવાની વાત સામે આવતા પોલીસે અહીંથી મુક્ત કરવામાં આવેલા બાળકોને મેડિકલ તપાસ માટે મોકલ્યા હતા. જેનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા ઠેકેદાર અજીત ઉલ્લા નામના આ શખસ સામે કાયદેસરની કાર્યવાહી કરશે.


બંગાળની પોલીસ પણ તપાસમાં સાથે રહી

સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ, રાજકોટ પોલીસ દ્વારા ગઈકાલે અહીં મોરબી રોડ પર મકાનમાં દરોડો પાડી બંગાળના વતની બાળકોને મુક્ત કરાવ્યા હતા. આ કામગીરી દરમિયાન બંગાળની પોલીસ પણ સાથે રહી હોવાનું માલુમ પડ્યું છે. અજીત ઉલ્લા પશ્ચિમ બંગાળમાં ગુનામાં વોન્ટેડ હોય જે તપાસના ભાગરૂપે બંગાળની પોલીસ અહીં આવી હતી અને ગઈકાલે દરોડાની કામગીરીમાં સાથે રહી હતી.


કામની ના કહે તો અજીત ઉલ્લા બાળકો સાથે મારકૂટ કરતો

શહેર પોલીસ દ્વારા ગઈકાલે ગોપાલ રેસીડેન્સીમાં મકાનમાંથી 19 બાળકોને મુક્ત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં એવી વાત પણ સામે આવી હતી કે, બંગાળથી અહીં બાળકોને લાવી ઠેકેદાર અજીત ઉલ્લા તેની પાસે મજૂરીકામ કરાવતો હતો. જો કોઈ બાળક કામ કરવાની ના કહે તો તે તેને માર મારી તેના પર અત્યાચાર પણ ગુજારતો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application