બીઆરટીએસ રૂટ રિડિઝાઇન કરવા માટે ટેન્ડર વિના જ કન્સલ્ટન્ટને કામ સોંપવાની દરખાસ્ત

  • May 29, 2025 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટવાસીઓ માટે માથાના દુ:ખાવા સમાન બનેલી ૧૫૦ ફૂટ રીંગ રોડની મતલબ કે બીઆરટીએસ રૂટની ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે મહાનગરપાલિકાએ પહેલ કરી છે અને ૨૦૦૯-૨૦૧૦માં લોકાર્પણ થયેલા બીઆરટીએસ કોરિડોરની સાંપ્રત સ્થિતિ મુજબ સમીક્ષા કરી તેમાં જરૂરી ફેરફારો સુચવવા અને આ રોડ ઉપરનો ટ્રાફિક કઈ રીતે સ્મૂધલી ચાલે તે માટે જરૂરી સુચનો કરવા કન્સલ્ટન્ટ એજન્સી તરીકે એસ.વી.એન.આઇ.ટી-સુરતની નિમણૂક કરવા કમિશનરે દરખાસ્ત કરી છે. અલબત્ત આ મામલે સૌથી અસ્તર જનક બાબત એ છે કે ટેન્ડર પ્રક્રિયા વિના જ આ કામ આપવા દરખાસ્ત કરવામાં આવી છે સાથે જ એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે આ કન્સલ્ટન્ટ એજન્સીને સિક્યુરિટી ડિપોઝિટની રકમ ભરપાઈ કરવામાંથી પણ મુક્તિ આપવામાં આવે ! દરખાસ્તમાં કામની સમયમર્યાદાનો પણ કોઈ ઉલ્લેખ કરાયો નથી. દરમિયાન આ કન્સલ્ટન્ટ એજન્સી બીઆરટીએસ રૂટ રી-ડિઝાઇન કરવા માટે જે કંઈ સૂચનો રજૂ કરે તે અનુસારની કામગીરી કરવા માટે ધોરણસરનું ટેન્ડર પ્રસિદ્ધ કરી કામગીરી કરવામાં આવશે.

વિશેષમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સ્ટેન્ડિંગ કમિટીને કરેલી દરખાસ્તમાં જણાવ્યું છે કે મહાનગરપાલિકાનાં વેસ્ટ ઝોન અંતર્ગત આવતા ૧૫૦ ફુટ રીંગ રોડ (માધાપર ચોકડી થી ગોંડલ ચોકડી) સુધીનાં રસ્તામા તેમજ સર્કલ પર ખૂબ જ ટ્રાફિકની સમસ્યા રહેતી હોય, તેમજ આ રસ્તાનો યોગ્ય વપરાશ થઇ શકે તે માટે આ રસ્તો રી-ડીઝાઇન કરવો ખૂબ જ જરૂરી છે. જેથી ટ્રાફિક સમસ્યાનું નિસકરણ થાય તેમજ આ રસ્તાનો સંપૂર્ણ વપરાશ થઇ શકે. અને વધારે લોકોપયોગી બની શકે તે માટે સદરહું રસ્તા તથા જંકશનને રી-ડીઝાઇન કરવા માટે આ પ્રકારનાં કામનો બહોળો અનુભવ ધરાવતી સરદાર વલ્લભભાઇ રાષ્ટ્રીય પ્રોદ્યોગિકી સંસ્થા - સુરત (એસવીએનઆઇટી) ને જણાવવામાં આવતાં જે અન્વયે એસ.વી.એન.આઇ.ટી.-સુરતને રજુઆત કરતા તેઓ દ્વારા પ્રપોઝલ રજુ કરેલ છે.

હાલમાં એસ.વી.એન.આઇ.ટી.-સુરત દ્વારા અમદાવાદ મહાપાલિકામાં રસ્તાઓને રી-ડીઝાઇન તથા રી-ડેવલપમેન્ટ કરવાનું કામ તથા રાજકોટ મહાપાલિકાનાં ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા હસ્તક મુખ્ય રસ્તાઓ પર સુંદર ટ્રાફિક સર્કલ ડીઝાઇન કરી શહેરની સુંદરતામાં વધારો કરી શકાય તે માટે યોગ્ય ડીઝાઇન સાથેનું સર્કલ વિકસાવવાનું આયોજનની કામગીરી/સર્વિસ નિયત ચાર્જ (કન્સલ્ટીંગ ફી) દ્વારા પુરી પાડવામાં આવે છે. જે અન્વયે વેસ્ટ ઝોન અંતર્ગત આવતા ૧૫૦ ફુટ રીંગ રોડ (માધાપર ચોકડી થી ગોંડલ ચોકડી) સુધીનાં રસ્તાને રી-ડીઝાઇન કરવા એસ.વી.એન.આઇ.ટી.-સુરત પાસેથી કન્સલ્ટન્સી માટેના ભાવો આપવામાં આવેલ છે.

ઉપરોક્ત સંસ્થા દ્વારા બીઆરટીએસ રૂટ રીડ ડિઝાઇન કરવા માટે ની ફી પેટે પ્રતિ કિલોમીટર દીઠ રૂ.૯ લાખની ફી માંગવામાં આવી છે તેમ જ જીએસટીની રકમ અલગથી ચૂકવવાની રહેશે. આ દરખાસ્ત અંગે આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં નિર્ણય લેવામાં આવનાર છે.

દરખાસ્તમાં કમિશનરે એવું પણ સૂચવ્યું છે કે ઉપરોક્ત કામ ટેન્ડર પ્રસિદ્ધ કર્યા સિવાય કરવામાં આવી રહ્યું છે તેથી કાર્યવાહીને બહાર રાખવા અને સિક્યુરિટી ડિપોઝિટ ની રકમ ભરવાથી પણ એજન્સીને મુક્તિ આપવાની થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application