ઉનાના વરસીંગપુરમાં રહેતી સર્ગભાએ એસિડ પી આપઘાત કરી લેતા સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવતા સાંજે મોત નીપજ્યું હતું. બનાવના પગલે પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો છે.
મળતી વિગત મુજબ વરસીંગપુરમાં રહેતી શાંતુબેન દિનેશભાઈ સોલંકી (ઉ.વ.24)ની પરિણીતા ગત તા.15ના સાંજે સાતેક વાગ્યે ઘરે હતી ત્યારે એસિડ પી લેતા સારવાર માટે પ્રથમ ઉના બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ચાલુ સારવાર દરમિયાન સાંજે દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ઉના પોલીસને જાણ કરતા પોલીસે રાજકોટ સિવિલ પહોંચી જરૂરી કાર્યવાહી પુરી કરી તપાસ હાથ ધરી હતી. મૃતકના લગ્ન થયાને અઢી વર્ષ જેટલો સમય ગાળો થયો હતો. સંતાનમાં એક દીકરો છે અને હાલ દોઢ મહિનાનો ગર્ભ હતો. પતિ હીરાઘસવાનું કામ કરે છે. છેલ્લા કેટલાક સમયથી પરિણીતાને માનસિક તકલીફ હોય જેના કારણે મગજ ભમતા એસિડ પી લીધાનું પરિવારજનોએ જણાવ્યું હતું. વધુ તપાસ ઉના પોલીસે હાથ ધરી છે.