‘હું મૃત્યુ પામુ તો તું હેન્ડલ કરી લેજે’ સાંજે પત્નીની કહી પોરબંદરના યુવાને વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો

  • March 04, 2025 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરમાં વ્યાજખોરોના આતંકને કારણે એક યુવાને તેની દુકાનમાં પહેલા ઝેરી દવા પીધી હતી અને ત્યારબાદ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા મૃતકના પત્ની દ્વારા આ બનાવમા પતિને મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધાવાયો છે.

પોરબંદરના છાયા-નવાપરાના મા‚તિનગરના ચાર રસ્તા પાસે રહેતા અને વનાણા ખાતે આવેલી સિગ્મા સ્કૂલમાં પ્રાથમિક શિક્ષિકા તરીકે નોકરી કરતા હીનાબેન યોગેશભાઇ ફાટક નામના ૪૫ વર્ષના મહિલા દ્વારા કીતિમંદિર પોલીસ મથકમાં વ્યાજખોરો સામે ગુનો નોંધાવવામાં આવ્યો છે. જેમાં એવુ જણાવાયું છે કે, તેના પતિ યોગેશભાઈ અનિલભાઈ ફાટક ગાયવાડી વિસ્તારમાં બેન્ક ઓફ બરોડા સામે ગજાનંદ સેલ્સ સ્ટેશનરી નામની દુકાન ધરાવતા હતા અને વર્ષ ૨૦૨૦માં યોગેશભાઇએ તેના જાણીતા એવા રાવલીયાપ્લોટમાં રહેતા કિશોરભાઇ વલ્લભદાસ પાંઉ પાસેથી  પાંચ લાખ ‚પિયા બે ટકા વ્યાજે લીધા હતા.


‘હું મૃત્યુ પામુ તો તું હેન્ડલ કરી લેજે’ 
ફરીયાદી હીનાબેન ફાટકે ફરિયાદમાં એવુ જણાવ્યુ છે કે તેઓ સાંજના તેમના પતિ યોગેશ સાથે વોકીંગમાં જતા હતા ત્યારે યોગેશભાઇ દ્વારા ઉદાહરણ આપવામાં આવતુ હતુ કે ‘જ્યોતિબેનના પતિ મૃત્યુ પામ્યા છે તેને ચાર દિકરી છે તેમ છતાં જ્યોતિબેન એકલા હેન્ડલ કરે છે એ જ રીતે તારી ઉપર પણ કોઇ મુસીબત આવે તો તું પણ હેન્ડલ કરી લેજે’ તેમ કહેતા હીનાએ તેના પતિને, ‘આવા વિચાર ના કરો આપણી લાઇફમાં કંઇ થવાનું નથી.’ તેમ કહીને પતિને ટેન્શનમાંથી મુક્તિ અપાવવા આશ્ર્વાસન આપ્યુ હતું.


મંગલસૂત્ર વહેચીને કોને આપ્યા ‚પિયા?
પંદર દિવસ પહેલા યોગેશે તેના પત્ની હીનાબેનને એવુ કહ્યું હતુ કે, ‘મને ઉઘરાણીવાળા બહુજ હેરાન કરે છે.જેથી તું તારુ મંગલસૂત્ર આપ એ વહેંચીને હું તેમના પૈસા આપી દવ’ તેમ વાત કરતા હીનાએ બે તોલા સોનાનું મંગલસૂત્ર પતિને આપતા તેને વહેચીને આવેલા રૂપિયા યોગેશે કોઇને આપ્યા હતા પરંતુ તે ‚પિયા કોને આપ્યા તેની વાત કરી ન હતી.


ત્યારબાદ મહામારી કોરોનાનો ફેલાવો થયો હતો જેથી સ્ટેશનરીનો ધંધો સંપૂર્ણપણે ઠપ્પ થઇ ગયો હતો આથી સ્ટેશનરીના ધંધામાંથી થોડા રૂપિયા કટકે-કટકે કિશોરભાઇને આપ્યા હતા ત્યારબાદ ડિસેમ્બર ૨૦૨૩થી કિશોરભાઇએ  બાકી નીકળતા રૂપિયા ઉપર પાંચ ટકા વ્યાજ લેવાનું શરૂ કર્યું હતું. જેથી યોગેશભાઇએ કિશોરભાઇને બાકી નીકળતા રૂપિયા તથા પાંચ ટકા વ્યાજ પણ ચૂકવી દીધુ હતુ. ૧૫ માર્ચ ૨૦૨૪ના કિશોરભાઇએ યોગેશભાઇ પાસે તેણે આપેલા રૂપિયા ઉપર પોતે કોઇ વ્યાજ લેતા નથી તેવું નોટરીનું લખાણ કરાવ્યુ હતુ અને એચ.ડી.એફ.સી. બેન્કના ચેક લીધા હતા. આ ચેક સમયે-સમયે નવી તારીખના બદલીને લેતા હતા અને આ તમામ વ્યવહારની યોગેશભાઇએ જાણ તેના પત્ની હીનાબેનને કરી હતી.
ચારેક મહિના પહેલા  કિશોરભાઇ પાંઉ મૃત્યુ પામ્યા હતા ત્યાર પછી તેના બે પુત્રો સમિક અને મિતેન બંને જણા યોગેશભાઇ ફાટકને પાંચ લાખ રૂપિયા અને તેનું પાંચ ટકા વ્યાજ આપવા દબાણ કરતા હતા  જેના કારણે એકાદ મહિનાથી યોગેશભાઇ ખૂબજ ટેન્શનમાં રહેતા હતા. 


ત્યારપછી તા. ૧-૩-૨૦૨૫ના સવારે યોગેશભાઇ દુકાને ગયા હતા અને બપોરે જમવા આવ્યા ત્યારે ખૂબજ તનાવમાં હતા અને પૂરુ જમ્યુ પણ ન હતુ. જમીને ફરીથી તેઓ દુકાને જતા રહ્યા હતા અને સાંજે સાતેક વાગ્યે કામ સબબ હીનાબેને પતિને ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. ત્યારબાદ પણ થોડીવાર પછી ટ્રાય કરતા ફોન બંધ આવતો હતો. આથી હીનાબેનને શંકા જતા તેમના પુત્ર હર્ષ અને સંબંધીઓને ફોન કરીને દુકાને જવાનું કહ્યુ હતુ તેથી હર્ષ અને કુટુંબીસ્વજન તિલકભાઇ દુકાને ગયા ત્યારે શટર બંધ હતુ તેથી શટર ખોલીને જોતા યોગેશભાઇ પંખાના હૂંકમાં દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતા હતા અને તેમણે ઝેરી દવા પીધી હોય તેવી વાસ પણ તેમના મોઢામાંથી આવતી હતી. 

આથી તેમને નીચે ઉતારીને સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના ડોકટરોએ તેમને મૃત જાહેર કરતા પી.એમ.ની કાર્યવાહી થઇ હતી. પતિની અંતિમવિધિ બાદ હીનાબેને કીતિમંદિર પોલીસમથક ખાતે એવા પ્રકારનો ગુન્હો નોંધાવ્યો છે કે તેમના પતિ યોગેશભાઇએ લીધેલ પાંચલાખની રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોર સમિક અને મિતેન તેમજ બીજા વ્યાજખોર અજાણ્યા માણસો ત્રાસ આપતા હતા તેથી તેમના  ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો છે તેથી પોલીસે આ બનાવમાં સમિક કિશોર પાઉ અને મિતેન કિશોર પાંઉ સામે નાણા ધીરધાર અધિનિયમની કલમ હેઠળ ગુન્હો નોંધાવતા કીર્તિમંદિર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News