ગાંધીનગરની ટુકડી તથા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
જામનગરની જી.જી. હોસ્પિટલના વહીવટી વિભાગનામાં ફરજ બજાવતા આઉટસોર્સ એજન્સીના બે કર્મચારી દ્વારા ૧૭ લાખ ૨૦ હજારની રકમની ઉચાપત કરવા ના કેસ માં પોલીસ દ્વારા તપાસ નો ધમધમાટ ચાલી રહ્યો છે. જો કે હજી સુધી બંને આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા બાદ આ પ્રકરણમાં વધુ કેટલીક વિગતો બહાર આવશે હાલ પોલીસ દ્વારા થોકબંધ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં વહીવટી વિભાગમાં ફરજ બજાવતા આઉટસોર્સ એજન્સીના બે કર્મચારીઓ ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન જયેશભાઈ મૂંગરા એ રૂપિયા ૧૭ લાખ ૨૦ હજારની રકમની ઊચાપાત કરી હતી. આ કૌભાંડ તિજોરી કચેરીના ધ્યાનમાં આવતા તેમણે હોસ્પિટલ સત્તાવાળાઓનું ધ્યાન દોર્યું હતું આ પછી ડો.ભાવિન કણસાગરા દ્વારા પોલીસ માં ફરિયાદ નોંધાવાઇ હતી. બીજી તરફ આ કૌભાંડ ધ્યાન માં આવતા જ હોસ્પિટલ સત્તાવાળા ઓ દ્વારા આ બંને કર્મચારીઓને ઘર ભેગા કરી દેવામાં આવ્યા હતા. ત્યાર થી આ બંને ફરાર છે, અને પોલીસ તેને શોધી રહી છે.
જ્યારે પોલીસ સબ ઇન્સ .જે પી સોઢા દ્વારા આ બનાવવા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે, અને હોસ્પિટલના વહીવટી વિભાગમાં અનેક દસ્તાવેજોની ચકાસણી તેમના દ્વારા કરવામાં આવી છે. બંને આરોપીઓ દ્વારા જુદા જુદા કર્મચારીઓના પગાર અને અન્ય ભથ્થા ની રકમ ના વાઉચર બનાવી ને તેમાં પોતાના જ જુદા જુદા બેંક ખાતાનો નંબર લખવામાં આવતા હતા અને એ રકમ પોતાના ખાતામાં જમા લેવામાં આવી હતી. આ સમગ્ર કૌભાંડ ઓક્ટોબર ૨૦૨૩ થી ચાલતું હતું. જે તાજેતરમાં પ્રકાશમાં આવ્યું છે.
જ્યારે આ પ્રકરણમાં એવા પણ સવાલો ઉઠવા પામ્યા છે કે નાણાકીય વહીવટ જેવી મહત્વની કામગીરી કાયમી કર્મચારી ને બદલે આઉટ સોર્સ કર્મચારીને કેવી રીતે આપવામાં આવી ? તેમજ અન્ય કોઇની સંડોવણી છે કે કેમ એ સહિતના સવાલોના જવાબો બન્ને ફરારી આરોપી પકડાયા પછી પોલીસ તપાસમાં વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા દર્શાવાઇ રહી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આ કૌભાંડ પ્રકાશમાં આવ્યા પછી અને પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ગાંધીનગરથી પણ તપાસનીશ ટુકડી જામનગર આવી પહોંચી હતી, અને જી.જી. હોસ્પિટલ વર્તુળનું કેટલુંક સાહિત્ય ચકાસ્યું હતું, અને તેનો રિપોર્ટ તૈયાર કરીને ગાંધીનગરની વડી કચેરીએ રજૂ કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા વહિવટી વિભાગના થોકબંધ સાહિત્યની ચકાસણી કરવામાં આવી રહી છે.