અમરેલીમાં નેતાઓના ઈશારે કામ કરવું પોલીસને ભારે પડ્યું: બે પીઆઈ, એક પીએસઆઇની બદલી

  • February 26, 2025 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલીના ચકચારી લેટરબોંબમાં રાજકીય નેતાઓના ઈશારે પાટીદાર યુવતી પાયલ ગોટીનું રી–કન્સ્ટ્રકશન નામે સરઘસ કાઢવું છેવટે પોલીસને ભારે પડું છે. અમરેલી લેટરકાંડમાં યુવતીનું સરઘસ કાઢવાનો મુદ્દો વિપક્ષે વિધાનસભામાં ઉઠાવતા રાજયના ડીજીપીએ બનાવની ગંભીરતાને લઇ અમરેલી એલસીબીના પીઆઈ અલ્પેશ પટેલની ભુજ, સાઇબર ક્રાઇમ પીઆઈ એ.એમ.પરમારની વડોદરા સીટી, એલસીબી પીએસઆઈ કુસુમ પરમારની વડોદરા બદલી કરવાનો ઓર્ડર કરવામાં આવતા જિલ્લાના પોલીસ બેડામાં ખળભડાટ મચી જવા પામ્યો છે. ડીજીપીની કાર્યવાહી બાદ જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જિલ્લામાં મોટા પાયે આઠ પીઆઈ, સાત પીએસઆઇ સહીત ૨૧ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓ કરી હતી.
મળતી માહિતી મુજબ અમરેલીમાં ભાજપ સામે ભાજપની આંતરિક લડાઈમાં ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીયા સામે તાલુકા પંચાયત પ્રમુખના લેટરહેડ ઉપર સનસનાટી ભર્યા આક્ષેપ સાથેનો લેટર તૈયાર કરી એક રાજકીય બોંબ તરીકે જે ભાજપના મોવડી મંડળમાં મોકલવામાં આવ્યો હતો અને સમયાંતરે લેટરબોંબ ફટતા પ્રકરણ અમરેલીથી ગાંધીનગર સુધી ગાયું હતું અને લેટર પ્રકરણમાં એક યુવતી સહીત ચાર આરોપીઓના નામ ખુલ્યા હતા જેમાં પાટીદાર યુવતિનું રિ–કંસ્ટ્રકશનના નામે ભાજપના જ રાજકીય નેતાના ઈશારે પોલીસે સરઘસ કાઢતા તેના પડઘા રાજકીય અને સામાજિક કક્ષાએ પડા હતા.
હાલમાં ચાલી રહેલા વિધાનસભાના સત્રમાં વિપક્ષે અમરેલીના લેટરકાંડ પ્રકરણમાં યુવતિની રાત્રીના સમયે અટકાયત કરવી અને સરઘસ કાઢવાના મુદાને ઉછાળ્યો હતો. આ મુદાને રાયના ડીજીપી વિકાસ સહાયએ ગંભીર ગણાવી બદલી કરતો ઓર્ડર કર્યેા હતો. આગાઉ આ પ્રકરણમાં એસપી સંજય ખરાતે ક્રાઇમ બ્રાન્ચના ત્રણ કોન્સ્ટેબલ કિશન આસોદરીયા, વરજાંગભાઈ મૂળિયાસીયા, મહિલા પો.કોન્સ. હીનાબેન મેવાડાને સસ્પેન્ડ કર્યા હતા. બદલીઓના દૌર વચ્ચે જેમના માર્ગદર્શન હેઠળ જ બદલી પામેલા પોલીસ અધિકારીઓએ પાયલ ગોટી મુદ્દે કાર્યવાહી કરી હશે એ પોલીસ વડા સંજય ખરાત સામે ડીજીપી કે ગૃહ વિભાગ દ્રારા કોઈ પગલાં લેવામાં ન આવતા બુદ્ધિજીવી વર્ગ કાર્યવાહીને માત્ર દેખાડો ગણાવી રહી છે અને સરકારની નીતિરીતિ સામે પણ સવાલ ઉઠાવી રહ્યા છે. જો કે અંતે નેતાઓની લડાઈમાં એ વખતે પણ ફંકી ફંકીને છાશ પીતી પોલીસ અંતે દાઝી જતા પોલીસ બેડામાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

આઠ પીઆઇ સહિતની આંતરીક બદલી
જિલ્લા પોલીસવડાએ રાજુલાના પીઆઇ વી.એમ.કોલાદરાને એલસીબીમા મુકયા હતા. ઉપરાંત ચલાલાના પીઆઇ એ.ડી.ચાવડાને રાજુલા, મહિલા યુનિટના પીઆઇ જી.આર.વસૈયાને ચલાલા, બાબરાના પીઆઇ ડી.કે.વાઘેલાને અમરેલી સીટી તથા અમરેલી તાલુકા પીઆઇ કે.બી.જાડેજાને બાબરા મુકાયા છે. ઉપરાંત ઓ.કે.જાડેજાને લીવ રીઝર્વમાથી અમરેલી તાલુકા, કે.વી.ચુડાસમાને લીવ રીઝર્વમાથી સાયબર ક્રાઇમ અને વી.એસ.પલાસને લીવ રીઝર્વમાથી ડુંગર ખાતે મુકાયા છે. આ ઉપરાંત એલસીબીના આઠ કર્મચારીઓની હેડ કવાર્ટર ખાતે બદલી કરી દેવામા આવી છે. જયારે તેના સ્થાને ૧૦ કર્મચારીને એલસીબીમા મુકવામા આવ્યા છે. આ ઉપરાંત બે કર્મચારીને એસઓજીમા પણ મુકવામા આવ્યા છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application