વૈજ્ઞાનિકોએ એક રસપ્રદ અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે મચ્છર ખરેખર અમુક ચોક્કસ લોકોને જ પોતાનો શિકાર બનાવવાનું પસંદ કરે છે. આ પસંદગી પાછળ તમારા શરીરની ગંધ, ખાણી-પીણીની આદતો અને ઉત્સર્જિત થતા રસાયણો જવાબદાર હોય છે. આ અભ્યાસમાં સૌથી મહત્વનો ખુલાસો બીયર પીનારાઓને લઈને થયો છે. નેધરલેન્ડ્સમાં ૪૬૫ લોકો પર કરવામાં આવેલા એક સંશોધન મુજબ, જેમણે છેલ્લા ૨૪ કલાકમાં બીયર પીધી હોય, તેમના તરફ મચ્છરો આકર્ષાય તેવી શક્યતા ૧.૩૫ ગણી વધી ગઈ હતી. બીયર પીવાથી શરીરનું આંતરિક તાપમાન વધે છે અને કાર્બન ડાયોક્સાઈડના સ્ત્રાવમાં ફેરફાર થાય છે.
આ ઉપરાંત, આલ્કોહોલના સેવનથી ત્વચાની ગંધમાં પણ પરિવર્તન આવે છે, જે મચ્છરો માટે 'સિગ્નલ' જેવું કામ કરે છે.
વૈજ્ઞાનિકોના મતે, માદા મચ્છર (જે લોહી ચૂસે છે) મુખ્યત્વે ત્રણ સંકેતોને આધારે મનુષ્યોને શોધે છે. જેમાં કાર્બન ડાયોક્સાઈડ, શરીરની ગંધ અને શરીરની ગરમીનો સમાવેશ થાય છે. આપણા શ્વાસમાંથી નીકળતો કાર્બન ડાયોક્સાઈડ મચ્છરોને ૧૦ મીટર દૂરથી જ આકર્ષી શકે છે. જ્યારે તેઓ નજીક આવે છે, ત્યારે શરીરની ગંધ અને ગરમી તેમને ચોક્કસ વ્યક્તિ પર બેસવા માટે મજબૂર કરે છે.