ગંદકી સાફ કરનારાં લોકો નાનાં માણસો નથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

  • March 13, 2024 10:28 PM 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી PM - SURAJ (પ્રધાનમંત્રી સામાજિક ઉત્થાન અંને રોજગાર આધારિત જનકલ્યાણ) પોર્ટલના લૉન્ચિંગ પ્રસંગે આજે ભાવનગરમાં યશવંતરાય નાટ્યગૃહ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.



રાજ્યપાલએ તેમના ઉદબોધનમાં કહ્યું હતું કે, PM - SURAJ પોર્ટલનાં લૉન્ચિંગ પ્રસંગે મને ભાવનગર આવવા મળ્યું એ મારું સૌભાગ્ય છે. ભાવનગર સંતો, કવિઓ, લેખકો અને કલાકારોની ભૂમિ છે, તેથી આ ભૂમિ પ્રેરણાનગરી છે.


જે લોકો માટે અત્યાર સુધી બહુ વિચારાયું નથી તેવાં લોકોના ઉત્થાન માટેનો આ કાર્યક્રમ છે. ગંદકી ફેલાવે તેમને મોટા અને ગંદકી સાફ કરનારાઓને નાના માણસો ગણવામાં આવે છે. ખરા અર્થમાં ગંદકી સાફ કરાવી એ પરમ પવિત્રતાનું કામ છે. ગાંધીજી પણ આ જ બાબતના હિમાયતી હતા.


દેશના અલગ - અલગ વર્ગનાં લોકો માટે જાતિ, ધર્મ, સમાજ કે વર્ગના ભેદ વગર આવી અનેક યોજનાઓ દ્વારા અભાવમાં રહેતા વંચિત અને શોષિત લોકોને પણ મુખ્ય ધારામાં લાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.


હાલ આ કાર્યક્રમ દેશનાં ૫૦૦ થી પણ વધુ જિલ્લામાં ચાલી રહ્યો છે. છેવાડાના માનવીઓને સંપૂર્ણ સન્માન સાથે ઉન્નત જીવન જીવવાની સુવિધા આપવા અને સર્વાંગી વિકાસ માટે અત્યારે સૌ એક થયા છે. લોકો સરકારની બધી યોજનાઓનો સંપૂર્ણ લાભ લે, તે જ આ આયોજનોનો ધ્યેય છે.


આજનાં કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઓનલાઇન સંબોધન કર્યુ હતું.


કલેકટર આર.કે.મહેતાએ તેમના સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે, સામાજિક ઉત્થાનની દિશામાં ભાવનગર જિલ્લો પણ અગ્રેસર છે. સામાજિક પુનર્વસન અને ઉત્થાનની દિશામાં જિલ્લો આજે વધુ એક શિખર સર કરશે, તે પ્રસંગે સહભાગી થવા ઉપસ્થિત આપ સૌને હું આવકારું છું.


મેયર ભરતભાઈ બારડે તેમના ઉદબોધનમાં કહ્યું હતું કે, રાજ્યપાલનું ભાવનગરની ધરતી પર સ્વાગત છે. આ યોજના અને સરકારનું પગલું સમાજને વધુને વધુ પ્રતિબદ્ધ કરશે.



સાંસદ ડો.ભારતીબહેન શિયાળે તેમના સંબોધનમાં કહ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું વિઝન છે કે, છેવાડાના માનવીનો પણ વિકાસ થવો જોઈએ. આજની યોજનાનાં લૉન્ચિંગે સાબિત કર્યું છે કે, આ સરકાર ખરા અર્થમાં લોકોની સરકાર છે.


આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મીયાણી, સાંસદ ડો.ભારતીબેન શિયાળ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, કલેકટર આર.કે.મહેતા, મહાનગરપાલિકા કમિશનર એન.વી. ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી જી.એચ.સોલંકી સહિતના મહાનુભાવો, અધિકારીઓ અને ભાવનગરના ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application