જામનગરના લોકો તૈયાર રહો, સરકારી કર્મચારીઓ બાદ હવે સામાન્ય જનતાનો વારો છે

  • February 18, 2025 12:25 PM 

ગુજરાતમાં હેલ્મેટ ફરજીયાત છે, હવે માત્ર ટૂ વ્હીલર વાહન ચાલકોએ જ નહીં પરંતુ પાછળ બેઠેલ સવારોએ પણ હેલ્મેટ પહેરવુ જ પડશે...



છેલ્લા કેટલાક દિવસોથી આરટીઓ અને ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા શહેરમાં ટ્રાફિક ડ્રાઈવના નામે વિવિધ પ્રવૃતિઓ ચલાવવામાં આવી રહી હતી. પહેલા હાથમાં ગુલાબ આપીને સમજાવવામાં આવ્યું, પછી ચેતવણી આપીને સમજાવવામાં આવ્યું અને અંતે પીજીવીસીએલ, મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટર કચેરી અને આરટીઓ જેવી સરકારી કચેરીઓમાં સરકારી કર્મચારીઓને હેલ્મેટ ન પહેરવા બદલ દંડ ફટકારીને સામાન્ય જનતાને હેલ્મેટ પહેરવાનો સંદેશ આપવામાં આવ્યો છે.


સૌપ્રથમ શા માટે સરકારી કર્મચારીઓ...?

હેલ્મેટ ન પહેરવા બદલ સરકારી કર્મચારીઓને સૌથી પહેલા દંડ ફટકારીને વહીવટીતંત્ર જનતાને સંદેશ આપવા માંગે છે કે કોઈપણ હોય, તેણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ પડશે અને જો તેણે ટુ-વ્હીલર ચલાવવું હોય તો તેણે હેલ્મેટ પહેરવું જ પડશે. સરકારી કર્મચારીઓ બાદ હવે આગળનો નંબર સામાન્ય જનતાનો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જામનગરમાં લોકોને હવે હેલ્મેટ વિના ઘરે ઘરે ઈ-ચલણ મળવાનું શરૂ થયું છે.



હવે આગળનો વારો જનતાનો છે...

સરકારી કર્મચારીઓ બાદ હવે આગળનો નંબર જામનગરની સામાન્ય જનતાનો છે. જામનગરના આરટીઓ ક્રુનાલ ઉપાધ્યાયે આજકાલને આ વાતની પુષ્ટિ કરી છે કે હેલ્મેટ ફરજિયાત છે અને ટુ વ્હીલર સવારોએ હેલ્મેટ પહેરવી જ પડશે, અન્યથા જે રીતે સરકારી કર્મચારીઓને દંડ ફટકારવા માં આવી રહ્યો છે તેવી જ રીતે જામનગરના સામાન્ય લોકો ને પણ હેલ્મેટ ન પહેરવા બદલ દંડ ફટકારવામાં આવશે.


સવારો માટે પણ હેલ્મેટ જરૂરી છે

મોટર વ્હીકલ એક્ટ 1988 અને ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989 હેઠળ, માત્ર ટુ-વ્હીલર ડ્રાઈવર માટે જ નહીં પરંતુ ટુ-વ્હીલરની પાછળ બેઠેલી વ્યક્તિ માટે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. આ કાયદા મુજબ હેલ્મેટ ન પહેરવા પર 500 રૂપિયાના દંડની જોગવાઈ છે. જો આવું વારંવાર થાય તો લાયસન્સ રદ પણ કરવાની જોગવાઈ છે.


જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના ડીઆઈજી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યા બાદ સુરતમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવી છે અને ત્યાં હેલ્મેટ ન પહેરનારાઓ સામે દંડ વસુલવામાં આવી રહ્યા છે, તેવી જ રીતે જામનગરમાં પણ હેલ્મેટ ન પહેરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જામનગરના આરટીઓએ આ અંગે સંકેત આપ્યા હોવા છતાં તંત્ર દ્વારા તેનું કેટલું કડક પાલન થાય છે તે જોવાનું છે. કારણ કે જામનગરના લોકો હજુ પણ એમ જ વિચારી રહ્યા છે કે દર વખતની જેમ આ વખતે પણ હેલ્મેટ પહેરવાની ડ્રાઈવ થોડા દિવસો માટે જ દેખાડો છે.


જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ વહીવટીતંત્ર આપોઆપ અન્ય કામોમાં વ્યસ્ત થઈ જશે અને લોકો ફરીથી પહેલાની જેમ હેલ્મેટ વગર વાહન ચલાવવાની મજા માણી શકશે. સાથે સામાન્ય જનતા એવો પણ સવાલ ઉઠાવી રહી છે કે જો તંત્ર ખરેખર કડકાઈમાં ઉતર્યું છે તો ટ્રાફિકના અનેક નિયમોનો ભંગ કરનાર જેમ કે ટ્રિપલ રાઈડર્સ, વાહનો ચલાવતા બાળકો, સ્ટંટ કરનારાઓ વગેરે સામે કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી અને આ કાર્યવાહી માત્ર હેલ્મેટ પહેરવા પુરતી જ મર્યાદિત છે કે પછી અન્ય નિયમોનો પણ અમલ કરાવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application