ખાનગી ટ્રાવેલ્સની ઓફિસ પાસેથી ૧૪ મોબાઇલ અને ટેબલેટ સાથેનું પાર્સલ લઇ ગયા : ૧.૧૮ લાખનો મુદામાલ રીકવર
જામનગર શહેરની એક ખાનગી ટ્રાવેલ્સની ઓફિસની બહાર રાખવામાં આવેલા પાર્સલમાંથી ૧૪ નંગ મોબાઈલ ફોન અને ટેબલેટ ભરેલા પાર્સલની ચોરી થવા પામી છે. જે અંગે પોલીસ માં ફરિયાદ નોંધાવાયા બાદ સીટી બી. ડિવિઝન પોલીસે ગણતરી ના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખી ચોરાઉ મુદ્દામાલ સાથે બે તસ્કરોને ઝડપી લીધા છે.
જામનગરમાં ગુરુદ્વારા માર્ગે સેન્ટર પોઇન્ટ માં આવેલ જય દ્વારકાધીશ ટ્રાવેલ્સના સંચાલક મયુરભાઈ જેઠાભાઇ પોસ્તરીયાએ પોતાના ટ્રાવેલ્સની ઓફિસની બહાર રાખેલ ૧,૧૮,૫૦૦ની કિંમત ના ૧૪ નંગ મોબાઈલ ફોન અને ટેબલેટ ભરેલા પાર્સલની કોઈ શખસો ચોરી કરી લઈ ગયા ની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ગત તારીખ ૧ જૂનના રોજ પોતાની ટ્રાવેલ્સની બસ અમદાવાદથી વહેલી સવારે સાડા ચાર કલાકે જામનગર આવી હતી. આ બસમાં અમદાવાદથી કુલ ૧૨ પાર્સલ આવ્યા હતા. આ તમામ પાર્સલો ટ્રાવેલ્સની ઓફિસથી બહાર રાખવામાં આવ્યા હતા, તેમાંથી મોબાઇલ ટેબલેટ ભરેલ પાર્સલ સવારે ૪:૩૦ થી ૧૦ વાગ્યા સુધીમાં કોઈ શખસો ચોરી કરી લઈ ગયા હતા.
પોલીસે મયુરભાઈની ફરિયાદ ના આધારે ગુનો નોંધી સી.સી.ટી.વી. કેમેરા વગેરેની મદદ લઇને તપાસ શરૂ કરી હતી, અને ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલિ નાખ્યો છે. જામનગરના સીટી બી. ડિવિઝન પી.આઈ.પી.પી. ઝા અને પીએસઆઇ મોઢવાડિયા અને તેઓની ટીમે ઉપરોક્ત પાર્સલની ચોરી કરનાર જામનગરમાં નવાગામધેડ વિસ્તારમાં રહેતા સન્ની જગદીશભાઈ સરવૈયા તેમજ ગોપાલ ચોકમાં રહેતા વિક્રમ ઉર્ફે રોટી સુરેશભાઈ પરમારની અટકાયત કરી લીધી છે, ૪ અને તેઓ પાસેથી રૂપિયા ૧,૧૮,૫૦૦ ની કિંમતના ચોરાઉ મોબાઇલ ફોન અને ટેબલેટ કબજે કરી લીધા છે.