પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ નિયંત્રણ રેખા પર તણાવ વધી ગયો છે. પાકિસ્તાન વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને ભારતને ઉક્સાવી રહ્યું છે. પાકિસ્તાને સતત સાતમા દિવસે નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું . ગત રાતે પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, ઉરી અને અખનૂર વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર કરીને નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો, પાકિસ્તાનની કાર્યવાહી બાદ ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો હતો.
અગાઉ પણ, પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું અને નિયંત્રણ રેખા પર ગોળીબાર કર્યો હતો. ૨૮-૨૯ એપ્રિલની રાત્રે, પાકિસ્તાની સેનાએ કુપવાડા, બારામુલ્લા અને અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પારથી ગોળીબાર કર્યો.
પહેલગામ હુમલા પછી, ભારતે ગયા બુધવારે સરહદ પારના સંબંધો પરના તણાવને ધ્યાનમાં રાખીને, 65 વર્ષ જૂની સિંધુ જળ સંધિને સ્થગિત કરવા, અટારી જમીન સરહદ ક્રોસિંગ બંધ કરવા અને પાકિસ્તાની લશ્કરી એટેચીને હાંકી કાઢવા સહિત અનેક દંડાત્મક પગલાંની જાહેરાત કરી હતી.આ ઉપરાંત અટારી સરહદ દ્વારા દેશમાં પ્રવેશતા તમામ પાકિસ્તાનીઓને 1 મે સુધીમાં દેશ છોડી દેવાનો નિર્દેશ આપ્યો છે. તેના જવાબમાં, પાકિસ્તાને ગુરુવારે તમામ ભારતીય એરલાઇન્સ માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરવાની અને ત્રીજા દેશો સહિત નવી દિલ્હી સાથે વેપાર સ્થગિત કરવાની જાહેરાત કરી.