રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં રિજનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન થનાર છે. જેના ઉદ્દઘાટન માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૧૧ જાન્યુઆરીએ રાજકોટ આવી રહ્યા છે. પહેલા મોદીનો રોડ-શો થવાનો હતો જોકે, હવે મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હવે તો સોમનાથથી સીધા રિજનલ વાઇબ્રન્ટના સ્થળ મારવાડી કોલેજ ખાતે પહોંચશે. આજે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટ આવી પહોંચ્યા હતા અને વાઇબ્રન્ટની તૈયારીઓનો એ ટુ ઝેડ રિવ્યૂ કર્યો હતો.
ડેપ્યુટી ચીફ મિનિસ્ટર આજે સવારે નવ કલાકે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં આગળ કલેક્ટર, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ભાઇ ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે સહિતનાઓ તેમજ મહાપાલિકા અને શહેર ભાજપના પદાધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું.

આગામી તા.૧૧ જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શુભારંભ થનાર છે. આ કોન્ફરન્સ કચ્છ સૌરાષ્ટ્રના ઉદ્યોગ સાહસિકો માટે પ્રગતિ અને તકોના નવા દ્વાર ખોલવા જઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રિજનલ કોન્ફરન્સ અને તેને સંલગ્ન તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. જેના અનુસંધાને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી આજે રાજકોટ શહેર જિલ્લાની મુલાકાતે છે. તેઓ કલેક્ટર કચેરી ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન સાથે તેમજ રીજનલ કોન્ફરન્સના આયોજન સંબંધિત બાબતો અંગે વિવિધ બેઠકો કરશે. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ યોજીને પ્રેસ મીડિયાને સંબોધન કરશે.