મ્યાનમાર અને થાઈલેન્ડમાં વિનાશક ભૂકંપમાં ભારત મદદ માટે તૈયાર: વડાપ્રધાન મોદી

  • March 28, 2025 04:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મ્યાનમારમાં આવેલો ભૂકંપ એટલો જોરદાર હતો કે તેની અસર ભારતના ઘણા રાજ્યોમાં અનુભવાઈ હતી. હાલમાં કોઈ નુકસાન થયું નથી. દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશ સહિત ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ખાસ કરીને ઉત્તરપૂર્વીય રાજ્યો મણિપુર, અરુણાચલ પ્રદેશ, આસામ અને નાગાલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. નોઈડા અને ગાઝિયાબાદમાં પણ લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા.

 
મ્યાનમારમાં ભૂકંપનું કેન્દ્ર

જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ મધ્ય મ્યાનમારના સાગાઈંગમાં હતું, જે મોનીવા શહેરથી લગભગ ૫૦ કિલોમીટર (૩૦ માઇલ) પૂર્વમાં આવેલું છે. કેન્દ્ર પૃથ્વીથી 10 કિલોમીટર નીચે હતું. ગૃહયુદ્ધ સામે ઝઝૂમી રહેલા દેશ મ્યાનમારમાં ભૂકંપને કારણે મ્યાનમારમાં પણ ભારે નુકસાનની આશંકા છે. અનેક લોકો બેઘર બન્યા છે.


બિલ્ડિંગો પત્તાની માફક ધરાશાયી
થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના આંચકા બાદ સેંકડો લોકો ગભરાટમાં ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા. મ્યાનમારમાં આ ભૂકંપથી થયેલા નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. જ્યારે બેંગકોકમાં બિલ્ડિંગો પત્તાની માફક ધરાશાયી થતી હોવાના વીડિયો સામે આવ્યા છે. ગ્રેટર બેંગકોક વિસ્તારમાં 1.7 કરોડથી વધુ લોકો રહે છે, જેમાંથી ઘણા લોકો બહુમાળી ઇમારતોમાં રહે છે.


ભારત મદદ માટે તૈયાર: વડાપ્રધાન મોદી 
પીએમ મોદીએ ટ્વીટ કરી સહાનુભૂતિ વ્યક્ત કરી કે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપ બાદની પરિસ્થિતિથી ચિંતિત છું. દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. ભારત શક્ય તેટલી બધી સહાય આપવા તૈયાર છે. આ સંદર્ભમાં અમારા અધિકારીઓને સ્ટેન્ડબાય રહેવા જણાવ્યું છે. વિદેશ મંત્રાલયને મ્યાનમાર અને થાઇલેન્ડની સરકાર સાથે સંપર્કમાં રહેવા પણ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application