ઓડિશાના પુરીમાં યોજાતી પરંપરાગત જગન્નાથ રથયાત્રા એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ ભક્તિ અને અતૂટ શ્રદ્ધાનો એક અનોખો મહાકુંભ છે. દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વિતિયા તિથિએ આ ભવ્ય શ્રી ગુન્ડિચા યાત્રા શરૂ થાય છે. ૯ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા વિશાળ રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળે છે.
આ વર્ષની રથયાત્રાનું સમયપત્રક અને પૌરાણિક રહસ્યો
રથયાત્રા ૨૦૨૬
ક્યારે થશે પ્રસ્થાન અને ક્યારે પુનરાગમન
પંચાંગની ગણતરી મુજબ, આ વર્ષે જગન્નાથ રથયાત્રા ૧૬ જુલાઈ ૨૦૨૬, ગુરુવારના પવિત્ર દિવસથી શરૂ થવા જઈ રહી છે. ભગવાન જગન્નાથ પોતાના ધામથી નીકળીને ૩ કિલોમીટર દૂર ગુન્ડિચા મંદિર (જેમને તેમની માસીનું ઘર માનવામાં આવે છે) પહોંચશે અને ત્યાં સાત દિવસ આરામ કરશે.
ત્યારબાદ ૨૪ જુલાઈ ૨૦૨૬ના રોજ 'બહુદા યાત્રા' એટલે કે ભગવાનની પરત ફરવાની યાત્રા સાથે આ મહોત્સવ સંપન્ન થશે.
માત્ર રથ ખેંચવાથી મળે છે અક્ષય પુણ્ય
હિન્દુ ધર્મની પ્રચલિત માન્યતાઓ અનુસાર, જે ભક્ત સાચા હૃદયથી ભગવાનના રથના દર્શન કરે છે તેના તમામ પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવું પણ કહેવાય છે કે ભક્તિભાવ પૂર્વક રથના દોરડાને ખેંચનાર વ્યક્તિને ક્યારેય ન ખૂટે તેવા અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.
જ્યારે ભગવાન જગન્નાથ ૧૫ દિવસ માટે 'બીમાર' પડે છે!
આ યાત્રા પાછળ એક ખૂબ જ રસપ્રદ પૌરાણિક ઇતિહાસ જોડાયેલો છે. જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથનો જન્મદિવસ હોય છે, ત્યારે ત્રણેય મૂર્તિઓને ૧૦૮ કળશના શાહી જળથી સ્નાન કરાવવામાં આવે છે. માન્યતા છે કે આ ભારે સ્નાનના કારણે પ્રભુને તાવ (જ્વર) આવી જાય છે અને તેઓ બીમાર પડે છે. આથી ૧૫ દિવસ સુધી તેમને એક વિશેષ કક્ષમાં રાખવામાં આવે છે, જ્યાં માત્ર રાજવૈદ્ય અને ખાસ સેવકો જ જઈ શકે છે અને ભક્તો માટે દર્શન બંધ રહે છે.
સોનાની સાવરણીથી 'છેરા પહેરા'ની અનોખી વિધિભગવાન સ્વસ્થ થયા બાદ અષાઢ દ્વિતિયાના દિવસે યાત્રા શરૂ થાય તે પહેલાં એક ખાસ વિધિ કરવામાં આવે છે, જેને 'છેરા પહેરા' કહે છે. આ પરંપરામાં પુરીના ગજપતિ રાજા સ્વયં સોનાની સાવરણી લઈને ત્રણેય રથના મંડપની સાફ-સફાઈ કરે છે. આ પવિત્ર વિધિ પૂર્ણ થયા પછી જ લાખો ભક્તો દ્વારા રથ ખેંચવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરવામાં આવે છે.