સૌરાષ્ટ્ર યુનિના ચાર ભવનમાં આંગળીના વેઢે ગણાય એટલા છાત્રોના જ એડમિશન

  • March 25, 2025 09:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ કરોડો રૂપિયાના ખર્ચે 29 ડિપાર્ટમેન્ટ (ભવનો)નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ભવનોમાં સરેરાશ માસિક રૂપિયા અઢી લાખનો પગાર મેળવતા 60 જેટલા અધ્યાપકો છે પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી હોવાના કારણે ફીની આવક કરતા પગારનો ખર્ચ અનેગણો વધી ગયો છે. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી જાય ત્યારે અધ્યાપકો પર ફાજલની તલવાર વિંઝવવામાં આવે છે પરંતુ યુનિવર્સિટી ભવનમાં અધ્યાપકોને દર વર્ષે કરોડો રૂપિયા પગાર પેટે ચૂકવવાનું ચાલુ જ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પરના નેનો સાયન્સ, ઇલેક્ટ્રોનિક્સ, લાઇબ્રેરી સાયન્સ અને તત્વજ્ઞાન ભવનમાં સિંગલ ડીઝીટમાં એડમિશન થયા છે. નેનો સાયન્સમાં તો માત્ર ત્રણ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. લાઇબ્રેરી સાયન્સ અને ઇલેક્ટ્રોનિક ભવનમાં અનુક્રમે ચાર -ચાર વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 29 ભવનોની ઇંટેક્ટ કેપેસિટી 1518 વિદ્યાર્થીઓને સમાવવાની છે. યુનિવર્સિટી ભવનમાં એડમિશન મેળવવાનું વિદ્યાર્થીઓનું ડ્રિમ હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ પરિસ્થિતિમાં ફેરફાર થયો છે અને ઇન્ટેક કેપેસિટી ની 1,518 માંથી 963 બેઠકો ભરાય છે અને 555 બેઠકો ખાલી છે. જે વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ ભાગ્ય જ ભવનમાં દેખાતા હોય છે અને આવું જ પ્રોફેસરની બાબતમાં છે. ભવનમાં પ્રોફેસરો ભણાવતા નથી તેવી વ્યાપક ફરિયાદો પણ અવારનવાર ઉઠવા પામતી હોય છે.

ચાર ભવનમાં સિંગલ ડીઝીટ માં એડમિશન થયા છે તો બાકીના ભવનની વાત કરીએ તો લો ડિપાર્ટમેન્ટમાં 21 આંકડાશાસ્ત્રમાં 22 ઇતિહાસમાં 25 વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે. સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા રાજકોટ જામનગર અમરેલી સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લા માટેની આ એક માત્ર સરકારી યુનિવર્સિટી હોવા છતાં તેમાં પ્રવેશ મેળવવા માટેનો રસ વિદ્યાર્થીઓમાં ઘટતો જાય છે. યુનિવર્સિટીના સતાવાળાઓ આ બાબતે પોતાનું નામ નહીં આપવાની શરતે એવું કારણ આપ્યું છે કે આ વખતે જીકાસમાં એડમિશનમાં ભારે વિલંબ થયો છે અને પ્રોસિજર પણ અટપટી હોવાથી ખાનગી યુનિવર્સિટીઓ તરફ વિદ્યાર્થીઓનો પ્રવાહ વળી ગયો છે. કારણ અને તારણ જે હોય તે, પરંતુ જો આમ જ રહેશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનોમાં વિદ્યાર્થીઓની સંખ્યા એટલી ચિંતાજનક હદે ઘટી ગઈ છે કે અમુક ભવનો બંધ કરવાની દિશામાં પણ વિચારવાની નોબત આવે તો નવાઈ નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application