LIVE વીડિયોઃ પોરબંદરમાં ચોપાટી પર રામદેવપીરનો મંડપ તૂટતા નાસભાગ મચી, એકનું મોત, 15 ઘાયલ, પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસને પરસેવો વળી ગયો

  • June 11, 2025 01:30 PM 

પોરબંદરની ચોપાટીના મેળા મેદાનમાં રામદેવપીરના મંડપ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને બુધવારે સવારે સૂર્યોદય સમયે મંડપ ખડો થતો હતો ત્યારે અચાનક જ મંડપનું દોરડુ તૂટતા મંડપનો સ્તંભ ધડાકાભેર નીચે પડયો હતો જેમાં એક શ્રધ્ધાળુનુ મોત થયુ હતુ જ્યારે ૧૫ લોકોને નાની મોટી ઇજાઓ થતા ભાવસિંહજી હોસ્પિટલે લવાયા છે.તો બીજી બાજુ સવારે જ્યારે ઘટનાનું કવરેજ કરવા માટે મીડિયાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે અમુક મીડિયાકર્મીના મોબાઇલ છીનવીને તેમાંથી વિઝયુઅલ ડીલીટ કરાવાયાનો બનાવ બન્યો હતો. તે અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.


મંડપ ખડો થતો હતો ત્યારે સર્જાયો અકસ્માત

પોરબંદર જિલ્લામાં હાલ વૈશાખ અને જેઠ મહિનામાં અનેક જગ્યાએ રામદેવપીરના મંડપના આયોજન કરવામાં આવે છે જેમાં પોરબંદરની ચોપાટી ખાતે મેળામેદાનમાં પણ તેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ અને પૂરી રાત્રિ હજારો શ્રધ્ધાળુઓ મંડપના દર્શન માટે અને સંતવાણી સહિતના કાર્યક્રમોમાં જોડાયા હતા. બુધવારે સવારે સૂર્યોદય સમયે મંડપ ખડો કરવાની વિધિ હાથ ધરવામાં આવી હતી અને ‘મંડપમાં કોણ છે? રામદેવપીર છે’ના ચારે બાજુ ગગનભેદી નાદ ગુંજતા હતા ત્યારે ત્યારે અચાનક મંડપના સ્તંભને ચોતરફ બાંધેલા દોરડા પૈકી એક દોરડુ અચાનક જ તૂટી ગયુ હતુ અને તેના કારણે હજારો કિલો વજન ધરાવતો અને જેના પ્રત્યે હજારો લોકોને આસ્થા હોય છે તેવો રામદેવપીરનો સ્તંભ ધડાકાભેર નીચે પડયો હતો અને દર્શન કરવા આવેલા હજારો શ્રધ્ધાળુઓમાં નાશભાગ મચી હતી. 


એક શ્રધ્ધાળુનું મોત

પોરબંદરના મેળામેદાન ખાતે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ રામદેવપીરના મંડપે દર્શન માટે આવ્યા હતા અને સવારે જ્યારે મંડપ ખડો થતો હતો તે સમયે જ તે ધડાકાભેર પડતા પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં રહેતા વનરાજભાઇ નવઘણભાઇ ગોરાણીયા નામના ૫૪ વર્ષના શ્રધ્ધાળુનું કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ અને નાશભાગ પણ મચી હતી. 


પોલીસે પરિસ્થિતિ માંડ કાબુમાં લીધી

એક બાજુ હજારો લોકો મંડપના દર્શન માટે આવ્યા હતા તેવા સમયે જ બીજી બાજુ મંડપનો સ્તંભ ધડાકાભેર પડતા ભારે નાશભાગ મચી હતી જેથી પોલીસે પરિસ્થિતિને માંડ કાબુમાં લીધી હતી કારણકે ચારેબાજુ બુમાબુમ અને ભાગાભાગીનું વાતાવરણ જોવા મળ્યુ હતું. 


પંદર જેટલા ઇજાગ્રસ્તોને ભાવસિંહજી હોસ્પિટલે લવાયા

ચોપાટીના મેદાનમાં પડેલા મંડપના સ્તંભને કારણે અને નાશભાગ મચતા ૧૫ લોકોને નાની મોટી ઇજા થઇ હતી જેમને સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે જેમાં ઓ.પી.ડી. એમ.એલ.સી.માં થયેલ નોંધ મુજબ ઘાયલોમાં ભાટીયાબજારના ઉર્મિલાબેન બાબુભાઇ કોટીયા ઉ.વ. ૫૦, મચ્છીમાર્કેટ પાસે રહેતા લલિતાબેન પ્રેમજીભાઇ શેરાજી ઉ.વ. ૪૫, છાયાના શોભનાબેન મનીષભાઇ કદાવલા ઉ.વ. ૩૫, ખાપટના લખમીબેન રામા ચુડાસમા ઉ.વ. ૭૦, ખારવાવાડના ગીગાભાઇ ગોવિંદભાઇ ગોહેલ ઉ.વ. ૭૦, બોખીરાના  નીલમબેન મઢુભાઇ કોટીયા ઉ.વ. ૬૦, બોખીરાના શ્યામ જાદવભાઇ સોનેરી ઉ.વ. ૧૯, રાણાવાવના કીંજલબેન રમેશ મકવાણા ઉ.વ. ૧૪, રાણાવાવના નર્મદાબેન રમેશભાઇ મકવાણા ઉ.વ. ૩૫, પોરબંદરના  ઝુરીબાગ વિસ્તારના મંજુલાબેન સંજયભાઇ જુંગી ઉ.વ. ૪૯, કાબાવલીયા ફળિયામાં રહેતા દમયંતીબેન કાંતિભાઇ મોતીવરસ ઉ.વ. ૪૦, કડીયાપ્લોટના રાણાભાઇ રામાભાઇ વેગડા ઉ.વ. ૫૦, રાણાવાવના કૌશિક રમેશભાઇ મકવાણા ઉ.વ. ૧૩, રાણાવાવના ભૂમિકાબેન જગદીશ મકવાણા ઉ.વ. ૧૭, પોરબંદરના ઝુરીબાગના  વિવેક સંજયભાઇ જુંગી  ઉ.વ. ૨૮ને નાની મોટી ઇજાઓ થતા ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર અપાઇ હતી.


મીડિયાકર્મી ઉપર હુમલાનો પ્રયાસ

પોરબંદરના ચોપાટી મેળામેદાનમાં જ્યારે સવારે મંડપ ખડો થતો હતો ત્યારે કવરેજ કરવા ગયેલા રીપોર્ટરો સિધ્ધાર્થ બુધ્ધદેવ અને અલ્પેશભાઇ મોઢા  વગેરે ઘટનાસ્થળે હાજર હોવાથી મંડપ પડયો તેના વિઝયુઅલ લેતા હતા એ સમયે અમુક શખ્શોએ સિધ્ધાર્થ બુધ્ધદેવનો કાંઠલો પકડીને હુમલાનો પ્રયાસ કરી તેનો મોબાઇલ છીનવી લઇને વિઝયુઅલ ડીલીટ કરાવ્યા હતા એટલુ જ નહી પરંતુ લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા હતા આથી ત્યાં હાજર પોલીસની મદદ માંગવામાં આવી હતી. ત્યારબાદ જ્યારે હોસ્પિટલે કવરેજ કરવા માટે ગયા ત્યારે પણ અમુક શખ્શોએ તેનો પીછો કર્યો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી હતી અને જે શખ્શોએ મોબાઇલમાં વીડિયો ડીલીટ કરાવ્યો હતો તેના વિઝયુઅલ પણ લીધા હતા તે ઇસમ હોસ્પિટલ પાસેથી દોડીને નાસતો હોય તેવા વિઝયુઅલ પણ પોલીસને આપવામાં આવ્યા છે ત્યારે પોલીસે તેને  શોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પત્રકારોએ પોલીસ પાસે એવી માંગ કરી હતી કે તેઓ ફરજના ભાગ‚પે કામગીરી કરી રહ્યા હતા ત્યારે આ રીતે ફરજમાં ‚કાવટ કરવાની અને મીડિયાને દબાવવાની કોશિશ કરનાર શખ્શો સામે કોઇ બાંધછોડ કરવી જોઇએ નહી અને કડક હાથે કામ લેવુ જોઇએ તેમ જણાવ્યુ હતુ. 


સરકારી ભાવસિંહજી હોસ્પિટલે ફરજ બજાવી મંડપમાં ગયેલા સિકયુરીટી ગાર્ડને કાળ આંબ્યો

પોરબંદરમાં રામદેવપીરનો સ્તંભ પડતા જેમનું મૃત્યુ થયુ છે તે ૫૪ વર્ષના વનરાજભાઇ નવઘણભાઇ ગોરાણીયા સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. સવારે ૬ વાગ્યા સુધીની તેમની ડયુટી પૂર્ણ કર્યા બાદ તેઓ મંડપના દર્શનાર્થે ગયા હતા અને સર્જાયેલી આ ક‚ણાંતિકામાં તેમનો ભોગ લેવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application