રાજકોટ ભકતોના દુઃખ દૂર કરતા બાલાજી હનુમાનજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં (કરણસિંહજી હાઈસ્કૂલ, ભૂપેન્દ્ર રોડ) આજે, ૨ એપ્રિલના રોજ હનુમાન જયંતી મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી ચાલી રહી છે. વડતાલ સંસ્થાન સંચાલિત બાલાજી હનુમાનજી મંદિર ખાતે દાદાના જન્મોત્સવ નિમિત્તે સવારથી જ ધાર્મિક કાર્યક્રમોની વણઝાર જોવા મળી છે.
ગઈકાલે રાત્રે ૧૨:૦૦ કલાકે બાલાજી હનુમાન દાદાના જન્મોત્સવના વધામણાં કરવામાં આવ્યા હતા. આજે હનુમાન જયંતીના પવિત્ર દિવસે વહેલી સવારે ૦૫ઃ૩૦ કલાકે મંગળા આરતીના દર્શન સાથે સવારથી જ મંદિર પરિસરમાં જય હનુમાન જય બજરંગ બલીના નાદ ગુંજી ઉઠયા હતાં. આજના આ અવસરે બાલાજી હનુમાન દાદાને સુવર્ણ અને ચાંદીના વાઘા પહેરાવીને મનોહર શણગાર કરવામાં આવ્યો છે. આજે બપોરે ૧૨:૦૦ કલાકે યોજાયેલી અન્નકૂટ આરતીમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા અને કાજુ-કતરીના અન્નકૂટના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
આજના કાર્યક્રમોની શૃંખલામાં સાંજે ૦૭:૦૦ કલાકે સંધ્યા આરતી, ત્યારબાદ રાત્રે ૦૮-૩૦થી ૧૧-૦૦ વાગ્યા સુધી વિવેકસાગરદાસ સ્વામીના વ્યાસાસને ચાલી રહેલી શ્રી રામ કથાનું ભવ્ય સમાપન થશે. બોલબાલા ટ્રસ્ટ રાજકોટ, બાલાજી સેવા સમિતિ રાજકોટ અને યજમાન સુરેશભાઈ આડેસરાના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલા આ સમગ્ર મહોત્સવમાં દર્શનાર્થીઓ માટે આખો દિવસ મહાપ્રસાદ તેમજ કથા વિરામ બાદ અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી છે.