કોલેજમાં તાવ છે, તબિયત બરાબર નથી કહી એચ.એન. શુક્લા કોલેજની હોસ્ટેલમાં જઈ નર્સિંગની છાત્રાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

  • March 29, 2025 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ભીચરી રોડ પર આવેલી એચ.એન.શુક્લા કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં નર્સિંગનો અભ્યાસ કરતી વીંછીયાની યુવતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા હોસ્ટેલમાં અરેરાટી મચી જવા પામી હતી. છાત્રા સવારે કોલેજમાં હતી ત્યારે પોતાને તાવ છે, તબિયત સારી નથી તેમ ટયુટરને કહી હોસ્ટેલના રૂમમાં ચાલી ગઈ હતી અને ત્યાં જઈ પગલું ભરી લીધું હતું. બનાવના પગલે કુવાડવા પોલીસ દોડી ગઈ હતી.


પાયલને લટકતી હાલતમાં જોઈ બુમાબુમ 
પ્રાપ્ત વિગત મુજબ મૂળ વીંછીયાની અને રાજકોટમાં આવેલી એચ.એન.શુક્લા કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતી પાયલ મનુભાઈ ખીહડીયા (ઉ.વ.19) નામની છાત્રાએ કોલેજની હોસ્ટેલના રૂમમાં જઈ પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. લેક્ચર પુરા થતા રૂમમેટ અન્ય છાત્રાઓ રૂમમાં આવતા પાયલને લટકતી હાલતમાં જોઈ બુમાબુમ કરતા વોર્ડન સહિતના દોડી આવ્યા હતા અને તાકીદે 108ને જાણ કરતા ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરતા સાથી છાત્રાઓમાં ગમગીની છવાઈ હતી. બનાવ અંગે કુવાડવા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફ હોસ્ટેલએ પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી માતા-પિતાને જાણ કરવામાં આવતા પાટીવારજનો પણ દોડી આવ્યા હતા અને પુત્રીનો નિષ્પ્રાણ દેહ જોઈ કલ્પાંત સર્જ્યો હતો.​​​​​​​

આપઘાતનું કારણ જાણી શકાયું નથી
યુવતી સવારે કલાસરૂમમાં હતી ત્યારે પોતાને તાવ આવ્યો છે અને તબિયત સારી નથી તેવું પ્રોફેસરને કહી રૂમ પર જતી રહી હતી અને ત્યાં પગલું ભરી લીધું હતું. તેણીએ ક્યાં કારણથી આપઘાત કર્યો એ કારણ જાણી શકાયું નથી પોલીસે તપાસ યથાવત રાખી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application