વામ્બે આવાસમાં રાત્રીના જૂથ અથડામણ: વાહનોમાં તોડફોડ

  • May 10, 2025 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરમાં વાહન અથડાયા બાદ મારામારીની ઘટનાઓ હવે સામાન્ય બની ગઇ છે.ત્યારે ગઈકાલે રાત્રિનાં સમયે કાલાવડ રોડ પર આવેલા વામ્બે આવાસ યોજના વિસ્તારમાં અકસ્માત સર્જાયા બાદ બન્ને કારના ચાલકોએ પોતાના સાગ્રીતોને બોલાવી લેતા જુથ અથડામણ જેવી સ્થિતિ નિર્માણ થઇ હતી. એકબીજા પર પથ્થરના છુટ્ટા ઘા કરતાં બન્ને કારમાં તોડફોડ થઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. મોડીરાત્રે સામસામે પથ્થરના ઘા કરતાં આજુબાજુના લોકો પણ ટોળે વળ્યા હતાં. કોઈએ પોલીસમાં જાણ કરતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ બનાવસ્થળે દોડી ગયો હતો અને પોલીસ પહોંચતાં જ આરોપીઓ પોતાના વાહનો ત્યાં જ મુકી નાસી ગયા હતાં. સ્થિતિને ધ્યાને લઇ અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.


બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાંથી જાણવા મળ્યું હતું કે, સુરેન્દ્રનગર જીઆઈડીસી પાછળ રહેતા માન્સીબેન ક્રિષ્નાકાંત પાઠક નામના મહિલા તેમના પરિવાર સાથે રાત્રિનાં સમયે જડુસ હોટલ આંબેડકર ચોક પાસેથી પસાર થતાં હતા. ત્યારે અજાણ્યા કાર સાથે અકસ્માત સર્જાયો હતો. જેને લીધે તેઓ ઈજાગ્રસ્ત થયા હતાં. આ ઘટનામાં ઘવાયેલા માન્સીબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. કારમાં તોડફોડ અને પથ્થરમારાની ઘટના તાલુકા પોલીસના સુત્રોમાંથી જાણવા મળ્યુ હતું કે, હાલ બન્નેપક્ષે કોઈ ફરિયાદ થઈ નથી અને આપ મેળે સમાધાન થઈ ગયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે પોલીસે મુખ્ય રસ્તા પર પડેલી બન્ને કાર જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application