ગુજરાતમાં ટ્રાન્સપોર્ટરો માટે નવો નિયમ: ટોલ પ્લાઝા પર દસ્તાવેજો અપડેટ ન હોય તો ઈ-ચલણ

  • March 15, 2025 11:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતનો વાહન વ્યવહાર વિભાગ ટૂંક સમયમાં મોટર વાહન કાયદાના અમલીકરણને વધુ સશક્ત બનાવવા અને માર્ગ સલામતી વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરશે. આ માટે "e-Detection" પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.


આ પ્રોજેક્ટ અંતર્ગત, રાજ્યના નેશનલ હાઈવે અને માર્ગ અને મકાન વિભાગ હેઠળના તમામ ટોલ પ્લાઝા પરથી પસાર થતા ટ્રાન્સપોર્ટ વાહનોના PUC, વીમો, ફિટનેસ અને પરમિટ જેવા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. જો આ દસ્તાવેજો પરિવહન પોર્ટલ પર અપડેટ ન હોય, તો વાહન માલિકને ઈ-ચલણ મોકલવામાં આવશે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર "Ease of doing business" અને "Ease of living"ના ધ્યેયને સાકાર કરવા માટે આ પગલું ભરી રહી છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા "e-Detection" પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે, જે આગામી સમયમાં તમામ ટોલ પ્લાઝા પર લાગુ થશે.


વાહન વ્યવહાર કમિશનરની કચેરીએ ગુજરાત રાજ્ય અને રાજ્ય બહારના ટ્રાન્સપોર્ટરો તેમજ વાહન ચાલકો-માલિકોને તેમના વાહનના PUC, વીમો, ફિટનેસ અને પરમિટ જેવા દસ્તાવેજો પરિવહન પોર્ટલ પર અપડેટ રાખવા જણાવ્યું છે. જો કોઈ દસ્તાવેજ અપડેટ ન હોય, તો તેને સાત દિવસમાં અપડેટ કરાવવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. આ પગલું ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે પારદર્શિતા લાવવામાં અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application