રાજકોટમાં સિટી બસ નવી નક્કોર અને ડ્રાઈવરો બુઢ્ઢા, ચાર મહિનામાં ચાર અકસ્માતમાં 6 લોકોના મોત

  • April 16, 2025 04:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા શહેરમાં પ્રદુષણ ઘટાડવા માટે કરોડો રૂપિયાને ખર્ચે નવી નવેલી સીએનજી અને ઇલેક્ટ્રિક સિટી બસો ફાળવવામાં આવી છે તદઉપરાંત તેના સંચાલન માટે પણ સરકાર પ્રતિ કિમી દીઠ રૂ.૨૨ જેવી ગ્રાન્ટ આપે છે. બસો જૂની હોય અને અકસ્માતો સર્જાય તો સમજી શકાય પણ રાજકોટમાં તો ઉલટી ગંગા જેવી સ્થિતિ છે સિટી બસો નવી નવેલી છે અને ડ્રાઈવરો બુઢા છે તેના લીધે અકસ્માતો સર્જાઈ રહ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકાની સિટી બસ સેવા અંતર્ગત શહેરમાં દોડતી બસોએ જાન્યુઆરી માસથી લઈને હાલ એપ્રિલ માસ સુધીના છેલ્લા ચાર મહિનામાં કુલ ચાર અકસ્માતો સર્જ્યા છે અને તેમાં કુલ છ વ્યક્તિના મોત નીપજ્યા છે. થોડા સમય પૂર્વે જ રેલનગરમાં ચાલુ બસે ડ્રાઇવરને હાર્ટ અટેક આવતા ડ્રાઇવરનું મૃત્યુ નીપજ્યું હતું અને બસ એ જેમને હડફેટે લીધા તે મહિલાનું પણ મૃત્યુ થયું હતું.


ઇન્દિરા સર્કલ બાદ કિશાનપરામાં ચોકમાં સિટી બસના ચાલકે અકસ્માત સર્જ્યો

આજરોજ સવારના સુમારે ઇન્દિરા સર્કલ પાસે સિટી બસના ચાલકે સાત વાહનોને હડફેટ લીધા હતા. જેમાં ચાર વ્યક્તિઓના મોત થયા હતા. બનાવને લઈ શહેરમાં બેફામપણે બસ ચલાવનાર સિટી બસના ચાલકો સામે રોષની લાગણી વ્યાપી ગઈ હતી. દરમિયાન આ અકસ્માતની ઘટનાના કલાકોમાં જ વધુ એક સિટી બસે અકસ્માત સર્જ્યો હતો. બપોરના સમયે શહેરના કિસાનપરા ચોક પાસે સિટી બસે પીજીવીસીએલની કાર સાથે અકસ્માત કર્યો હતો. અકસ્માત બાદ અહીં ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો જો કે અકસ્માતની આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application