નર્મદા ડેમમાંથી ધસમસતું પાણી છોડવાના નિર્ણયને પગલે નર્મદા પરિક્રમા સ્થગિત કરાઈ

  • April 29, 2024 07:39 PM 

નર્મદા ડેમમાંથી ધસમસતું પાણી છોડવાના નિર્ણયને પગલે નર્મદા પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસનાં ત્રણ ટરબાઈન ચાલુ થતાં 30,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે. નર્મદા નદીમાં 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવતાં નર્મદા નદીની જળસપાટી 2 મીટર વધવાની શક્યતા સેવાઈ રહી છે. જોકે હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે, જેથી સુરક્ષાને ધ્યાને લઈ હાલ 10 દિવસ પહેલાં જ પરિક્રમાં સ્થગિત કરાઈ છે. પરિક્રમાવાસીઓને નર્મદા પરિક્રમા કરવા ન આવવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.


સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા રિવર બેડ પાવર હાઉસના સંચાલન માટે નર્મદા ડેમમાંથી પાણી છોડવાનું નિયત કરવામાં આવ્યું હોવાથી હેઠવાસના વિસ્તારના લોકોને સાવધ રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. ખાસ કરીને ચૈત્ર માસમાં ઉત્તરવાહિની પરિક્રમા ચાલી રહી હોવાથી પદયાત્રીઓ પણ આ બાબતની તકેદારી લે એવું પણ જણાવવામાં આવ્યું છે. 


ઇન્દોર સ્થિત નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા રિવર બેડ પાવર હાઉસના સંચાલન માટે સરદાર સરોવર ડેમમાંથી તા.૨૯-૪-૨૦૨૪ના સાંજના આઠ વાગ્યાથી પાણી છોડવાનું નિયત કરવામાં આવ્યું છે. આ પાણીનો જથ્થો ત્રીસ હજાર ક્યુસેક સુધી થવા જાય છે. આના કારણે ડેમના હેઠવાસમાં નદીના પટમાં ત્રીસ હજાર ક્યુસેક પાણીની આવક થશે. 


ખાસ કરીને આ પાણીના કારણે નર્મદા નદીના ઉત્તરવાહિની પરિક્રમના રૂટમાં પણ હળવી અસર થવાની શક્યતા છે. આ બાબતને ધ્યાને રાખીને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓને નદીમાં જવાનું દુઃસાહસ ના કરવા તેમજ સતર્ક રહેવા માટે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરાવ ઘાટ ખાતે બનાવવામાં આવેલા કામચલાઉ પૂલ ઉપર પાણી હોય ત્યારે તેના ઉપરથી પસાર થવું નહીં, તેવી તાકીદ કરવામાં આવી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application