જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલામાં એનઆઈએ ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી રહી છે. અહેવાલ છે કે તેમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ અને એક આતંકવાદી સંગઠનના નામ શામેલ હોઈ શકે છે. 18 સપ્ટેમ્બરના રોજ, જમ્મુની એક કોર્ટે એજન્સીને તપાસ માટે 45 દિવસનો સમય આપ્યો હતો, જે આ અઠવાડિયે સમાપ્ત થઈ રહ્યો છે. 22 એપ્રિલના રોજ, આતંકવાદીઓએ બૈસરન ખીણમાં 26 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી.
એનઆઈએએ સ્પષ્ટ કર્યું નથી કે તે તપાસ માટે વધુ સમય માંગશે કે નહીં અને ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ સુલેમાન શાહ, હમઝા અફઘાની ઉર્ફે અફઘાન અને જિબ્રાનને આશ્રય આપવાના આરોપસર ધરપકડ કરાયેલા બશીર અહેમદ જોથર અને પરવેઝ અહેમદ જોથરના રિમાન્ડ લંબાવશે કે નહીં.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 18 ઓક્ટોબરના રોજ જમ્મુ જેલમાં બંનેની પૂછપરછ કરવામાં આવી હતી. અધિકારીએ કહ્યું, ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. અમે હમણાં વધુ કંઈ કહી શકતા નથી. 26 લોકોની હત્યા કરનારા ત્રણ આતંકવાદીઓને 28 જુલાઈના રોજ દાચીગામ જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા ઠાર કરવામાં આવ્યા હતા. 29 જુલાઈના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પુષ્ટિ આપી હતી કે આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા અને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા.
અન્ય એક અધિકારીએ જણાવ્યું કે ચાર્જશીટમાં લશ્કર-એ-તોયબા અને તેના પ્રોક્સી ટીઆરએફનું નામ પણ સામેલ કરવામાં આવશે. અધિકારીએ ઉમેર્યું કે એનઆઈએએ તપાસ દરમિયાન બશીર અને પરવેઝ પાસેથી પાકિસ્તાની ફોન નંબર મેળવ્યા હતા, જે સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરવામાં મહત્વપૂર્ણ છે. એનઆઈએએ પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ દરમિયાન 1,000થી વધુ લોકોની પૂછપરછ કરી છે.
પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ સાત મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ સેનાએ પાકિસ્તાની ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સુધી સંઘર્ષ થયો, પરંતુ પાકિસ્તાની પક્ષની વિનંતી બાદ યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો.