રાજકોટ શહેરમાં રખડતા કુતરાઓના ત્રાસ અંગે હાઇકોર્ટ સરકારને પગલા ભરવાની સુચના આપ્યા બાદ મહાનગરપાલિકાએ પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શાળા, કોલેજો અને હોસ્પિટલો સહિતના ઉપર જવાબદારી નાખી છે. છતાં એનિમલ વિભાગમાં આ પ્રકારની ઝડપી કામગીરી થઇ શકે તે માટે 10 એનિમલ કીપરની ભરતી કરવાનો નિર્ણય લઇ જાહેર કરવામાં આવી છે. આગામી દિવસોમાં શ્વાન વ્યંધીકરણ સહિતની કાર્યવાહી વધુ ઝડપી બનાવવામાં આવશે તેમ જાણવા મળેલ છે.
ગુજરાત રાજ્યમાં વિકાસ કમિશનરના એક નવા પરિપત્રને કારણે મોટો વિવાદ ઊભો થયો છે. આ પરિપત્ર હેઠળ તલાટી કમ મંત્રીઓને તેમની મહેસૂલી અને વહીવટી કામગીરી ઉપરાંત ગામડાઓમાં રખડતા કૂતરા પકડવાની અને તેના નિકાલની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિર્ણયથી ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મહામંડળે આ નિર્ણયનો સખત વિરોધ નોંધાવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આ પરિપત્ર તાત્કાલિક પાછો ખેંચવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી પ્રદર્શન અને ધરણાં કરવામાં આવશે.
મહામંડળે પરિપત્રની તર્કહીનતા પર ભાર મૂકતા જણાવ્યું છે કે જિલ્લા કક્ષાએ પશુ નિયામક અને તાલુકા કક્ષાએ પશુ ચિકિત્સક નોડલ અધિકારી હોય છે. પશુપાલન તેમજ વન વિભાગ જેવા તંત્રો પણ અસ્તિત્વમાં છે. તેમ છતાં, કોઈ પણ તાલીમ, અનુભવ કે સાધનો વગર તલાટીઓને કૂતરા પકડવાનું કહેવું તદ્દન અવ્યવહારુ છે. આ નિર્ણયને કારણે સોશિયલ મીડિયામાં પણ તલાટીઓની હાંસી ઉડી રહી છે, જે અપમાનજનક છે.