ગુજરાતમાં ગત ચોમાસા દરમિયાન થયેલા સાર્વત્રિક અને ભારે વરસાદને પરિણામે ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યના જળાશયોમાં પાણીની સ્થિતિ આશાસ્પદ જોવા મળી રહી છે. ૫ માર્ચ ૨૦૨૬ની સ્થિતિએ રાજ્યના મુખ્ય ૨૦૭ જળાશયોમાં કુલ ક્ષમતાના ૭૨ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ગત વર્ષની સરખામણીએ ૪.૧૫ ટકા જેટલો વધારે છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ ૭૪ ટકાથી વધુ (૨.૪૭ લાખ એમસીએફટી) પાણીનો સંગ્રહ થયેલો છે. રાજ્યમાં સૌથી વધુ જળસંગ્રહ દક્ષિણ ગુજરાતના જળાશયોમાં નોંધાયો છે, જ્યાં ૨.૩૪ લાખ એમસીએફટી જેટલો વિપુલ જથ્થો ઉપલબ્ધ છે. અન્ય વિસ્તારોની સ્થિતિમા
મધ્ય ગુજરાત: ૬૫,૧૭૯ એમસીએફટી
સૌરાષ્ટ્ર: ૫૩,૬૨૧ એમસીએફટી,
ઉત્તર ગુજરાત: ૪૧,૮૪૨ એમસીએફટી,કચ્છમા ૪,૩૯૨ એમસીએફટી, પાણીનું જથ્થો સંગ્રહિત છે.
ગત વર્ષની સરખામણીએ વધારો
જળ સંપત્તિ વિભાગના આંકડા અનુસાર, ૫ માર્ચ ૨૦૨૫ના રોજ રાજ્યમાં કુલ ૬.૦૯ લાખ એમસીએફટી (૬૮.૩૪%) પાણી હતું, જેની સામે આ વર્ષે ૬.૪૬ લાખ એમસીએફટી (૭૨.૪૯%) જથ્થો સંગ્રહિત છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગત વર્ષ કરતા પાણીની આવક સારી રહી છે.
સુચારૂ જળ વ્યવસ્થાપન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના નેતૃત્વ હેઠળ લેવાયેલા જળ સંચયના પગલાંઓને કારણે પીવાના અને સિંચાઈના પાણીની ઉપલબ્ધતામાં વધારો થયો છે. રાજ્યના કુલ ૨૦૭ ડેમમાં અત્યારે પૂરતો જથ્થો હોવાથી આગામી ઉનાળામાં રાજ્યના નાગરિકોને પીવાના પાણીની કોઈ હાલાકી ભોગવવી પડશે નહીં તેવું વિભાગ દ્વારા જણાવાયું છે.
સૌથી વધુ 141 જળાશયો સૌરાષ્ટ્રમાં
રાજ્યમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ૧૪૧ જળાશયો, ઉત્તર ગુજરાતમાં ૧૫, મધ્ય ગુજરાતમાં ૧૭, દક્ષિણ ગુજરાતમાં ૧૩, કચ્છમાં ૨૦ તેમજ સરદાર સરોવર સહિત ગુજરાતમાં કુલ ૨૦૭ જળાશયો-ડેમ આવેલા છે.
સૌરાષ્ટ્રમાં ૫૩,૬૨૧ અને કચ્છ વિસ્તારમાં ૪,૩૯૨ એમસીએફટી પાણીનો જથ્થો
રાજ્યમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૨.૩૪ લાખથી વધુ એમસીએફટી પાણીનો જથ્થો જળાશયોમાં સચવાયો છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં ૬૫,૧૭૯ એમસીએફટી ઉત્તર ગુજરાતમાં ૪૧,૮૪૨ એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. સૌરાષ્ટ્રમાં ૫૩,૬૨૧ અને કચ્છ વિસ્તારમાં ૪,૩૯૨ એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. આમ રાજ્યમાં કુલ ૬,૪૬,૫૫૬ એમસીએફટી એટલે કે ૭૨.૪૯ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે.