BREAKING NEWS

જામનગરમાં આયોજિત ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો શુભારંભ કરાવતા પ્રભારી મંત્રી

  • December 23, 2025 12:21 PM 


રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ અને વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જામનગરમાં ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ. દ્વારા આયોજિત ત્રી-દિવસીય સશક્ત નારી મેળાનો શુભારંભ કરાવ્યો હતો. એમ્યુઝમેન્ટ પાર્કની પાછળ, જે.એમ.સી.ગ્રાઉન્ડમાં તા.૨૨-૨૩-૨૪ ડિસેમ્બર દરમિયાન આયોજિત મેળામાં વિવિધ ૧૦૦ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે જેની મંત્રી સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ મહિલાઓનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. 


મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સશક્ત નારી મેળો માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ નારી શક્તિમાં વિશ્વાસ વ્યક્ત કરવાનો, નારીના આત્મવિશ્વાસને મજબૂત કરવાનો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો એક સશક્ત પ્રયાસ છે. ગુજરાત સરકારે હંમેશા મહિલાઓને સમાજના કેન્દ્રસ્થાને રાખી વિકાસની નીતિઓ ઘડી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરદર્શી નેતૃત્વ અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે બેટી બચાવો, બેટી પઢાવો, મુખ્યનમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, મિશન મંગલમ, સખી મંડળ, નારી ગૌરવ દિવસ જેવી અનેક યોજનાઓ દ્વારા મહિલાઓને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને સ્વરોજગાર ક્ષેત્રે સશક્ત બનાવવાની દિશામાં નોંધપાત્ર કામગીરી કરી છે.


સશક્ત નારી મેળો મહિલા સ્વસહાય જૂથો, ગ્રામ્ય અને શહેરી મહિલાઓ, કારીગર બહેનો અને મહિલા ઉદ્યોગકારોને તેમની પ્રતિભા, કુશળતા અને સર્જનશીલતાને પ્રદર્શિત કરવા માટે એક ઉત્તમ મંચ પૂરું પાડે છે. અહીં બહેનો દ્વારા તૈયાર કરાયેલા હસ્તકલા ઉત્પાદનો, ઘરઉદ્યોગના વિવિધ પદાર્થો, ખાદ્ય ઉત્પાદનો, પરંપરાગત કળાઓ અને નવીન વ્યવસાયિક વિચારો એ વાતનો જીવંત દાખલો છે કે આજની નારી કોઈપણ ક્ષેત્રમાં પાછળ નથી.

​​​​​​​


જ્યારે મહિલા આત્મનિર્ભર બને છે, ત્યારે પરિવારનું આર્થિક સંબળ વધે છે, બાળકોનું ભવિષ્ય સુદૃઢ બને છે અને સમાજમાં સમાનતા અને પ્રગતિનો માર્ગ સુગમ બને છે. સશક્ત નારી મેળા જેવા કાર્યક્રમો બહેનોમાં આત્મવિશ્વાસ જગાવે છે અને તેમને પોતાના પગ પર ઊભા રહેવાની પ્રેરણા આપે છે. સરકાર બહેનોને તાલીમ, નાણાકીય સહાય, માર્કેટિંગ અને રોજગારની વધુ તકો ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મહિલાઓને આર્થિક, સામાજિક તથા શૈક્ષણિક રીતે સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. જામનગર જિલ્લાની બહેનો આજે હસ્તકલા, ગૃહ ઉદ્યોગ, કૃષિ આધારિત પ્રવૃત્તિઓ અને અન્ય સ્વરોજગાર ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે. ત્યારે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન તેમના પ્રયત્નોને વધુ વેગ આપવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે.


આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા,  દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેકટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, અગ્રણીઓ ડો.વિનોદભાઈ ભંડેરી, બીનાબેન કોઠારી, રમેશભાઈ મુંગરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, ડેપ્યુટી મ્યુ.કમિશ્નર ઝાલા, વિવિધ વિભાગના અધિકારીઓ, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન હરીદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application