પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના થકી દેશના ૬.૬૪ લાખ પરિવારોને મળી છે રૂ.૧૩,૨૯૦ કરોડની સહાય

  • November 21, 2023 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વીમા પ્રીમિયમની ભરપાઈ થવાથી મારા વ્યવસાયમાં ઘણો ફાયદો થયો

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વર્ષ ૨૦૧૫માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ જાહેર અને ખાનગી આમ બંને ક્ષેત્રોમાં વીમા કંપનીઓ સાથે વાણિજ્ય બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને સહકારી બેંકો સાથે જોડાણ કરીને સંચાલન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા વીમા ક્ષેત્ર પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. ગરીબ અને વંચિત વર્ગને સમાજના મુખ્ય પ્રવાહમાં સમાવવાના ઉદ્દેશ્ય સાથે ’સૌનો સાથ, સૌનો વિકાસ’ના વિઝનની પરિકલ્પના આ યોજના સાથે જોડાયેલી છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં વર્ષ ૨૦૧૫થી લઈને વર્ષ ૨૦૨૩ દરમિયાન પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ ૬.૬૪ લાખ પરિવારોને રૂ.૧૩,૨૯૦ કરોડની સહાય અર્પણ કરવામાં આવી છે.
તાજેતરમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યભરમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ૧૫૫ નવા કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું હતું. ધનતેરસના શુભ દિવસે બાંધકામ ક્ષેત્રના કામદારો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવા ભોજન કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે. જેમાં શ્રમિકો માત્ર ૫ રૂપિયામાં પોષણથી ભરપૂર સ્વાદિષ્ટ થાળી મેળવી શકે છે. સમગ્ર રાજ્યના અંદાજીત ૭૫,૦૦૦ કામદારોને આ પહેલનો લાભ મળશે. જામનગર જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મેયબેન ગરસર અને જિલ્લા કલેકટર બી.એ.શાહના હસ્તે ૧૦ જેટલા લાભાર્થીઓને શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલવાન્વિત વિવિધ યોજનાઓના ૧૦ લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા લાભાર્થી જયકિશનભાઈ કરશનભાઈ કણજારીયા જણાવે છે કે, હું અત્યારે ઈલેક્ટ્રીશિયન તરીકે વ્યવસાય કરું છું. પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજનાનો મને લાભ મળ્યો છે. સમગ્ર વર્ષ દરમિયાન રૂ. ૪૩૬ જેટલું વીમા પ્રીમિયમ ભરવાનું હોય છે. આ યોજનાનું મારું સંપૂર્ણ પ્રિમિયમ ગુજરાત બાંધકામ અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, જામનગર દ્વારા ભરવામાં આવ્યું છે. આ ઓટો રીન્યુઅલ યોજના છે, તેથી દરવર્ષે વીમાનું પ્રીમિયમ તેમાં આપોઆપ આવી જાય છે અને આ સમગ્ર કામગીરી જિલ્લા શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કરવામાં આવી છે તેમજ શ્રમિક અન્નપુર્ણા યોજના થકી આજે અમારા જેવા અનેક શ્રમિકો માત્ર ૫ રૂપિયામાં ગરમાગરમ સ્વાદિષ્ટ ભોજન સમયસર મેળવી શકે છે. જયકિશનભાઈને આ તકે સહાયનો લાભ મળ્યો હોવાથી તેઓ રાજ્ય સરકારનો ખુબ-ખુબ આભાર વ્યક્ત કરે છે.
***
આ સહાય કોણ મેળવી શકે છે ?
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ એક વર્ષની જીવન વીમા યોજના છે. જેમાં કોઈપણ કારણોસર મૃત્યુ થવાથી લાભાર્થીના પરિવારને વળતર મળી શકે છે. ૧૮ થી ૫૦ વર્ષની વય જૂથમાં સમાવિષ્ટ કોઈપણ નાગરિક કે જેઓ વ્યક્તિગત બેંક અથવા પોસ્ટ ઑફિસમાં ખાતું ધરાવે છે, તેઓ આ યોજના હેઠળ નોંધણી કરવા માટે પાત્રતા ધરાવે છે. કોઈપણ કારણસર મૃત્યુના કિસ્સામાં રૂપિયા ૨ લાખ સુધીની સહાય મળી શકે છે. આ યોજના હેઠળ વાર્ષિક ‚ા.૪૩૬ જેટલું પ્રીમિયમ ભરવામાં આવે છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. નોંધણી કરાવવા માટે ખાતાધારકે બેંક શાખા કે પોસ્ટ ઓફિસ બચત બેંકની મુલાકાત લેવાની રહે છે. યોજનાનું પ્રીમિયમ દર વર્ષે ખાતાધારકના બેંક ખાતામાંથી ઓટો ડેબિટ થાય છે. આ યોજના અને રજીસ્ટ્રેશન ફોર્મ વિશેની વિગતવાર માહિતી હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં તેમજ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application