31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ

  • May 30, 2025 07:20 PM 

આવો, તમાકુ મુક્ત સમાજ માટે સામૂહિક સંકલ્પ લઈ તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરીએ

દર વર્ષે વિશ્વમાં ૮૮ લાખ લોકો તમાકુના કારણે મૃત્યુ પામે છે;ભારતમાં આ આંકડો ૧૩.૫ લાખનો છે

તમાકુનું સેવન શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક રીતે નુકસાનકારક છે જેના ઉપયોગથી કેન્સર સહિતની ગંભીર બીમારીઓ થાય છે

ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ, જામનગર ખાતે વ્યસનમુક્તિ માટે આવેલા ૬૦% થી વધુ લોકોએ સફળતાપૂર્વક તમાકુ છોડ્યું

જામનગર તા.30 મે, દર વર્ષે ૩૧ મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ તમાકુના ઉપયોગથી થતી ગંભીર હાનિકારક અસરો વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેના ઉપયોગમાં ઘટાડો લાવવાનો છે. આ ઉપરાંત, તમાકુ નિષેધને લઈને સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અને ઉપલબ્ધ સારવાર વિકલ્પો વિશે સામાન્ય લોકોને જાગૃત કરવાનો પણ છે.


જૂના સમયથી તમાકુ વિવિધ રૂપોમાં ઉપયોગમાં લેવાય છે, જેમાં મુખ્યત્વે ધુમ્રપાન, ચાવવાના સ્વરૂપમાં તથા આધુનિક તમાકુ ઉત્પાદનોમાં ઈ-સિગારેટ, વેપ્સ વગેરેનો ઉપયોગ થાય છે.


તમાકુમાં રહેલું નિકોટિન એક લત લગાડનાર પદાર્થ છે.તે મગજમાં ડોપામિનની માત્રા વધારી આનંદદાયક અનુભવો પેદા કરે છે, જે તમાકુના વ્યસનનું મુખ્ય કારણ બને છે. સમય જતાં, વપરાશકર્તાઓને નિકોટિનની અસર પ્રાપ્ત કરવા માટે વધુ નિકોટિનની જરૂર પડે છે.અને નિકોટિન વિના, વ્યક્તિ ચીડિયાપણું, ચિંતા અને બેચેની જેવા લક્ષણો અનુભવે છે.


સામાજિક-સાંસ્કૃતિક પરિબળો, સામાજિક ધોરણો, જાહેરાતો અને તેની સુલભતા પણ તમાકુના વ્યસનમાં ખૂબ મોટો ફાળો ભજવે છે.તમાકુનું સેવન શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક એમ તમામ રીતે નુકસાનકારક છે. તેના ઉપયોગથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ થાય છે, જેમાં ફેફસાં, મોં, ગળા, સ્વાદુપિંડ અને મૂત્રાશયનું કેન્સર મુખ્ય છે. અને તેના આંકડા ચોંકાવનારા છે.


દર વર્ષે વિશ્વમાં ૮૮ લાખ લોકો તમાકુના કારણે મૃત્યુ પામે છે.ભારતમાં આ આંકડો ૧૩.૫ લાખનો છે.તમાકુમાં ૭,૦૦૦થી વધુ રસાયણો હોય છે, જેમાંથી ઓછામાં ઓછા ૭૦ કેન્સરકારક છે.તે હૃદયરોગ, સ્ટ્રોક, COPD (ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ), બ્રોન્કાઇટિસ, ગર્ભપાત અને પુરુષોમાં પ્રજનન અક્ષમતા જેવા પરિણામો સાથે પણ જોડાયેલું છે.ધૂમ્રપાન કરતા લોકોના સંપર્કમાં રહેલા બાળકો અને પરિચિતો પણ સેકન્ડહેન્ડ સ્મોકના લીધે મોટી બીમારીઓના ભોગ બને છે. એક સર્વેક્ષણ મુજબ, સમય જતાં તમાકુ તેના ૫૦% વપરાશકર્તાઓનો ભોગ લે છે.આર્થિક દ્રષ્ટિએ પણ તમાકુનો ઉપયોગ વ્યક્તિ અને પરિવારો પર નોંધપાત્ર બોજ લાદે છે.


તમાકુનો ઉપયોગ મોં અને દાંત સહિત મૌખિક સ્વાસ્થ્ય પર નોંધપાત્ર નકારાત્મક અસરો કરે છે, જેમાં ડાઘવાળા દાંત, પેઢાનો રોગ, શ્વાસની દુર્ગંધ, દાંતમાં સડો, શરીરની સાજા થવાની ક્ષમતામાં નબળાઈનો સમાવેશ થાય છે.


તમાકુ છોડવા માટેના વિવિધ ઉપાયો

વર્તણૂક થેરાપી અને કાઉન્સેલિંગ, સપોર્ટ જૂથો, નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી, દવાઓ, ડિજિટલ એપ્લિકેશનો જેમ કે WHO Quit Tobacco, START વગેરેની મદદથી તમાકુના વ્યસનને છોડી શકાય છે.


સરકાર દ્વારા તમાકુ વિરુદ્ધના પ્રયાસો

તમાકુ મુક્તિ માટે સરકારે વિવિધ નીતિઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે.જે સિગારેટ્સ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ, ૨૦૦૩ હેઠળ જાહેર સ્થળે ધૂમ્રપાન પર પ્રતિબંધ, તમાકુ ઉત્પાદનોના પેકેટ પર ચિત્રાત્મક ચેતવણીઓ, ઈ-સિગારેટ પર પ્રતિબંધ, રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ, ધૂમ્રપાન છોડવા, જાગૃતિ અને કાયદાના અમલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.રાષ્ટ્રીય આરોગ્ય નીતિ પણ તમાકુના નિયંત્રણ પર ભાર મૂકે છે અને તમાકુ પર કરવેરા વધારી ઉપયોગ ઘટાડવાનો પ્રયાસ કરે છે.


જનતા માટે ઉપલબ્ધ સેવાઓ

 * National Tobacco Quit Line Services (NTQLS): હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૧૧૨ ૩૫૬ અને વેબસાઇટ: https://ntcp.mohfw.gov.in/national_tobacco_quit_line_services.

 જામનગરની ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ ખાતે પણ વ્યસનમુક્તિ કેન્દ્ર કાર્યરત છે, જેનો ૯૪૮૪૮૪૪૦૯૯ પર સંપર્ક કરી શકાય છે.


વ્યસનમુક્તિ અંગે જામનગર ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજનું પ્રશંસનીય યોગદાન

ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ, જામનગરના પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રી વિભાગ દ્વારા તમાકુ વ્યસનમુક્તિ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૪માં આશરે ૧૨૦૦ દર્દીઓ તમાકુ છોડવા માટે આવ્યા હતા, જેમાંથી ૬૦% થી વધુ લોકોએ સફળતાપૂર્વક તમાકુ છોડ્યું છે.આ વિભાગ દ્વારા શાળાઓ, ઉદ્યોગો અને જાહેર સ્થળોએ કેમ્પ, રેલી અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા સતત કામગીરી કરવામાં આવે છે.


ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજના ડીન ડો.નયના પટેલ તેમજ ડો.રોહિત અગ્રવાલની ટીમ દ્વારા જુદી જુદી સંસ્થાઓના સહયોગથી સમગ્ર વર્ષ દરમિયાન વ્યસનમુક્તિ માટે સતત ઝુંબેશ ચલાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સતત છેલ્લા બે વર્ષથી અત્રેની ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજને રાષ્ટ્રીય સ્તરે તમાકુ વ્યસનમુક્તિ માટે પુરસ્કૃત કરવામાં આવેલ છે.

​​​​​​​

આવો, તમાકુ મુક્ત ભારત માટે
વિશ્વ તમાકુ નિષેધ દિવસના આ અવસરે સંકલ્પ કરી તમાકુનો ત્યાગ કરીએ અને અન્યને પણ પ્રેરિત કરીએ.તમાકુના જોખમો વિશે જાગૃતિ ફેલાવીએ. તમાકુના પર્યાવરણીય અને સામાજિક જોખમો સામે અવાજ ઉઠાવી વ્યસન મુકત ભારત બનાવીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application