IPL 2025: ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, નમો સ્ટેડિયમમાં GTના ફેન્સે ‘આવા દે આવા દે’ના નારા લગાવ્યા

  • March 25, 2025 05:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની પાંચમી મેચ આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ત્યારે GTના ફેન્સ સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે. ફેન્સ દ્વારા ગુજરાત...ગુજરાત...  અને આવા દે આવા દેના નારા લગાવવામાં આવ્યા હતા.


મેચ જોવા માટે આવેલા લોકો શુભમન ગિલના પોસ્ટર અને 7 નંબરની જર્સી પહેરીને આવ્યા છે. આજે ગુજરાતની પ્રથમ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે છે, ત્યારે મેચ જોવા માટે હજી સુધી ખૂબ ઓછી સંખ્યામાં ક્રિકેટરસિકો પહોંચ્યા છે. સાંજે 5 વાગ્યા બાદ સ્ટેડિયમમાં ક્રિકેટરસિકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.


મેટ્રોનું ટાઇમિંગ
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી IPL મેચો માટે મેટ્રો સેવામાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. GMRCએ મેટ્રો સેવાનો સમય મધ્યરાત્રિ 12:30 સુધી લંબાવ્યો છે.


25 માર્ચ, 29 માર્ચ, 9 એપ્રિલ, 2 મે અને 14 મે ના રોજ યોજાનારી મેચો દરમિયાન આ વિશેષ સેવા ઉપલબ્ધ રહેશે. સામાન્ય દિવસોમાં સવારે 6:20થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલતી મેટ્રો સેવા, મેચના દિવસોમાં મધ્યરાત્રિ સુધી ચાલશે. રાત્રે 10 વાગ્યા પછી માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી જ સેવા ઉપલબ્ધ રહેશે. મુસાફરો ત્યાંથી મેટ્રોની બંને કોરિડોર પર કોઈપણ કાર્યરત સ્ટેશન સુધી જઈ શકશે.


મેચના દર્શકો માટે રૂ.50ની સ્પેશિયલ પેપર ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રે 10 વાગ્યા પછી માત્ર આ સ્પેશિયલ ટિકિટ જ માન્ય રહેશે. આ ટિકિટ અગાઉથી નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર સહિત 10 સ્ટેશનો પરથી ખરીદી શકાશે. મેચના દિવસોમાં દર 8 મિનિટે મેટ્રો ઉપલબ્ધ રહેશે. રાત્રે 10થી મધ્યરાત્રિ 12:30 દરમિયાન મોટેરા અને સાબરમતી સ્ટેશન પરથી દર 6 મિનિટે મેટ્રો મળશે. મોટેરા-ગાંધીનગર વચ્ચેની સેવા નિયમિત સમય મુજબ જ રહેશે.


અમદાવાદ પોલિસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને કેટલાક રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જે માટે વૈકલ્પિક રસ્તો આપવામાં આવ્યો છે. જનપથથી સ્ટેડિયમ થઈને મોઢેરા ગામ તરફ જતા રસ્તો વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ રહેશે.


ગુજરાતની બેટિંગ મજબૂત
ગુજરાતનો બેટિંગ ડિપાર્ટમેન્ટ ખૂબ જ મજબૂત છે. ટીમે આ સીઝનમાં જોસ બટલરને સામેલ કરીને ઓપનિંગને મજબૂત બનાવી. ટીમને એક મજબૂત વિકેટકીપિંગ વિકલ્પ પણ મળ્યો. ફિનિશિંગ લાઇન-અપમાં શેરફન રધરફોર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવતિયા, રાશિદ ખાન અને ગ્લેન ફિલિપ્સ જેવા સ્થાપિત ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.


પંજાબમાં ઘણા મેચ વિનર્સ
પંજાબ પાસે શ્રેયસ અય્યરના રૂપમાં એક સ્થિર કેપ્ટન અને મિડલ ઓર્ડરનો બેટર છે. વાઢેરા, મેક્સવેલ, શશાંક, યાન્સેન અને શેડગે ફિનિશિંગને મજબૂત બનાવી રહ્યા છે. અર્શદીપ, ચહલ, હરપ્રીત બ્રાર, યશ ઠાકુર અને યાન્સેન પણ બોલિંગને મજબૂત બનાવી રહ્યા છે.


અમદાવાદની પિચ બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. અત્યાર સુધીમાં અહીં 35 IPL મેચ રમાઈ ચૂકી છે. 15માં પ્રથમ બેટિંગ કરનાર અને 20માં ચેઝ કરનાર ટીમ જીતી છે. અહીં સૌથી વધુ ટીમ સ્કોર 233/3 છે, જે ગુજરાત ટાઇટન્સે 2023માં મુંબઈ ઈન્ડિયન્સ સામે બનાવ્યો હતો. પિચ રેકોર્ડ અને ઝાકળને ધ્યાનમાં રાખીને, ટૉસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.


બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સાઈ સુદર્શન, મહિપાલ લોમરોર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, સાઈ કિશોર/ઈશાંત શર્મા, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ.


પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), જોશ ઇંગ્લિસ, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, સૂર્યાંશ શેડગે, માર્કો યાન્સેન, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.


ગુજરાતે તેના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ 16 મેચ રમી હતી. આમાં, 9 જીત્યા અને 7 હાર્યા. આ મેદાન પર ટીમે પોતાનું પહેલું IPL ટાઇટલ પણ જીત્યું હતું. 2022માં તેની પહેલી સીઝનમાં, ટીમે ફાઈનલમાં રાજસ્થાન રોયલ્સ (RR)ને 7 વિકેટથી હરાવીને ચેમ્પિયન બન્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application