એરપોર્ટથી ટાઉનહોલ સુધી રેકડી-કેબિન-મંડપ સામીયાણા સહિતના ૩૦થી વધુ દબાણ દૂર કરી લેવાયા: રોડ રસ્તાની રંગ રોગની પણ કાર્યવાહી
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આગામી શનિવારે જામનગરની મુલાકાતે પધારી રહ્યા છે, અને કરોડો રૂપિયાના લોકાર્પણના જુદા જુદા કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રીના આગમનને લઈને જામનગર મહાનગરપાલિકાનું તંત્ર કામે લાગ્યું છે અને એરપોર્ટથી લાલ બંગલા-ટાઉનહોલ સુધીના તમામ માર્ગો પર સફાઈ અભિયાન હાથ ધરાયું છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી શનિવારે જામનગરના મહેમાન બની રહ્યા છે અને સવારે ૧૦.૩૦ વાગ્યાથી ટાઉનહોલમાં અલગ-અલગ લોકાર્પણ સહિતના કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવી રહયું છે. જેની તૈયારીના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની જુદી-જુદી ત્રણ ટુકડીઓને દોડતી કરાવાઇ છે અને એરપોર્ટ રોડ થી લઈને સાત રસ્તા સર્કલ, ત્યાંથી લાલ બંગલા સર્કલ અને છેક ટાઉનહોલ સુધીના માર્ગ પર તમામ પ્રકારના રેકડી, કેબિન, પથારા સહિતના દબાણો દૂર કરાયા છે.
અંદાજે ૩૦થી વધુ રેકડી કેબીનોને હટાવી લઈ રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો કરાવાયો છે, ઉપરાંત જાહેરાતના હોર્ડિંગ- બોર્ડ વગેરે પણ હટાવી લઈ માર્ગને સંપૂર્ણપણે સાફ સુથરો બનાવી દેવામાં આવ્યો છે. સાત રસ્તા સર્કલથી લઈને કલેક્ટર કચેરી સુધીના શરૂ સેક્સન રોડ પર પણ તમામ પ્રકારે સફાઈ અભિયાન હાથ ધરાયું છે અને રેકડી પથારા સહિતના દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે. કેટલાક ખાણીપીણી, ફળ ફ્રુટના ધંધાર્થીઓ કે જેઓ દ્વારા મંડપ સામિયાણા ઊભા કરાયા હતાં તે પણ તમામ હટાવી દેવામાં આવ્યા છે.
જામનગરના લાલ બંગલા સર્કલથી સાતરસ્તા સર્કલ સુધીના ગૌરવ પથ માર્ગ તેમજ ખોડીયાર કોલોની રોડ વગેરે સ્થળોએ સાફ સફાઈ ઉપરાંત રેલિંગનું કલર કામ સહિતની કાર્યવાહી ચાલી રહી છે અને સંપૂર્ણ માર્ગ પર સફાઈ અભિયાન હાથ ધરી લેવાયું છે. લોકો કહે છે કે, મુખ્યમંત્રી અવારનવાર જામનગરની મુલાકાત લે તો જામનગર ચોખ્ખુ ચણાક બની જાય, આ વખતે પણ દર વખતની જેમ મુખ્યમંત્રી આવવાના હોય એ રૂટના તમામ રસ્તાઓ ઉપરથી દબાણો દુર કરીને કલર કામ કરવામાં આવ્યું છે, રેલીંગને પણ રાતોરાત કલર કરાઇ છે અને ટાઉનહોલમાં પણ સ્વચ્છતા કરવામાં આવી છે, આવતીકાલે લગભગ ૧૦:૩૦ વાગ્યા આસપાસ મુખ્યમંત્રી આવવાના હોય તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.