જામનગર જિલ્લા કોંગી પ્રમુખ બનતા મનોજ કથીરીયા

  • February 15, 2024 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચૂંટણી પૂર્વે કોંગ્રેસે જિલ્લાનું સુકાન સોંપ્યું લેઉવા પાટીદારના યુવા ચહેરાને: ગત વિધાનસભામાં શહેરની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા: શહેર કોંગ્રી પ્રમુખ પદે દિગુભા જાડેજા યથાવત: પાટીદાર-ક્ષત્રિયની યુવા જોડી શું કોંગીનું કલેવર શહેર જિલ્લામાં બદલી શકશે

જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે લેઉવા પાટીદાર સમાજના યુવા ચહેરા મનોજ ગોરધનભાઇ કથીરીયાની વરણી કરવામાં આવી છે અને જિલ્લાના પ્રમુખ પદેથી જીવણભાઇ કુંભરવડીયાની વિદાય થઇ ગઇ છે, જ્યારે શહેરના પ્રમુખ પદે દિગુભા (વિરેન્દ્રસિંહ ટેમુભા) જાડેજા યથાવત છે, લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ તરફથી પાટીદારોને અંકે કરવા આ વરણી કરાઇ હોવાનું માનવામાં આવે છે, શહેરમાં ક્ષત્રિય અને જિલ્લામાં પાટીદાર, આ બન્ને યુવા ચહેરા શહેર-જિલ્લામાં કોંગીનું કલેવર બદલી શકશે કે કેમ ? એ આવનારો સમય બતાવશે.
ઓલ ઇન્ડીયા કોંગ્રેસ કમિટી દ્વારા આજે ગુજરાતના ૧૩ જિલ્લાના શહેર અને જિલ્લાના સુકાનીઓના નામની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં જામનગર જિલ્લા કોંગી પ્રમુખ તરીકે મનોજ કથીરીયાનું અપાયું છે, જ્યારે સૌરાષ્ટ્રના અત્યંત મહત્વના એવા રાજકોટ શહેરના પ્રમુખ પદે ૧૦૮ નામથી જાણીતા અતુલ રાજાણીની વરણી કરવામાં આવી છે, ત્યાં પણ કોંગીએ યુવા અને તરવરીયા ચહેરાને તક આપી છે, જે વરણીઓ જાહેર કરાઇ છે તેમાં પાટીદાર ઉપરાંત બ્રહ્મસમાજ, દલિત સમાજ, ક્ષત્રિય સમાજ, લોહાણા સમાજ, રબારી સમાજ સહિતના સમાજોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે, આમ એવું લાગે છે કે કોંગીની હાઇકમાન્ડ લોકસભાની ચૂંટણીના અનુસંધાને પૂરેપૂરી હરકતમાં આવી ગઇ છે.
જિલ્લા કોંગી પ્રમુખ બનેલા મનોજભાઇ કથીરીયા ગત વિધાનસભાની ચૂંટણીમાં ૭૯-જામનગર (દક્ષિણ)ની બેઠક પરથી ધારાસભ્ય દિવ્યેશ અકબરી સામે ચૂંટણી લડ્યા હતા અને ૨૩૭૩૦ મત મેળવવામાં સફળ થયા હતા, ૬૨૩૧૫ મત સાથે એમનો પરાજય થયો હતો અને પાટીદારોના બે યુવા ચહેરાઓ વચ્ચે ટક્કર થઇ હતી.
વ્યવસાયે ઉદ્યોગપતિ મનોજ કથીરીયા ૪૧ વર્ષની ઉંમરના છે, હજુ થોડા અરસા પહેલા જ એમની રાજકીય કારર્કીદીનો પ્રારંભ થયો હતો, હવે જિલ્લા કોંગી પ્રમુખ પદ તરીકે એમને જવાબદારી સોંપવામાં આવી હોવાથી ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી ટાણે એમનો રોલ કોંગ્રેસ માટે મહત્વનો બની રહેશે, એવું માનવામાં આવે છે.
શહેરના પ્રમુખ પદે કોંગ્રેસ દ્વારા દિગુભા જાડેજાને યથાવત રાખવામાં આવ્યા છે અને જ્ઞાતિના સમીકરણ પ્રમાણે જોઇએ તો શહેરમાં ક્ષત્રિય અને જિલ્લામાં પાટીદારને સુકાન આપીને એવો પણ સંકેત આપી દીધો છે કે કોંગ્રેસ આગામી લોકસભાની ચૂંટણીમાં તાકાત સાથે લડવાની ઇચ્છા ધરાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application